સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

વઢવાણના દેદાદરા ગામ પાસેની ખાનગી સિરામીક કંપનીએ ૧૬ કામદારોને છુટ્ટા કર્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૮: તાલુકાના દેદાદરા ગામના પાટીયા પાસે આવેલ વોરેકસ સીરામીક નામની ખાનગી કંપનીમાં અનેક કામદારો છેલ્લા દ્યણા સમયથી ફરજ બજાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમજ આ કંપનીમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી પણ કામદારો કામ કરી રહ્યાં છે ત્યારે કંપનીના માલીકો અને સંચાલકો દ્વારા કોઈપણ જાતની જાણ કે નોટીસ આપ્યા વગર કંપનીમાં કામ કરતાં અંદાજે ૧૬ જેટલાં કામદારોને છુટ્ટા કરી દેતાં રોષ જોવા મળ્યો હતો અને કંપનીના મુખ્ય દરવાજા બહાર એકત્ર થઈ સુત્રોચ્ચાર કર્યા હતાં જયારે કંપનીના છુટ્ટા કરાયેલા કામદારોના જણાવ્યા મુજબ છેલ્લા દ્યણા વર્ષોથી તેઓ કંપનીમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે કંપનીના માલીકો દ્વારા કોઈપણ જાતની જાણ વગર છુટ્ટા કરી દેતાં હાલ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે અને તાત્કાલીક આ અંગે યોગ્ય નિર્ણય લઈ છુટ્ટા કરાયેલા કર્મચારીઓને પરત કામ પર લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.આ ઉપરાંત બાળમજુરોને પણ કામે રાખી મજુરી કરાવતાં હોવાનું તેમજ પ્રદુષણ ફેલાવતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ આવી પરિસ્થિતિમાં ખાનગી કંપનીઓ દ્વારા વર્ષો જુના કામદારોને છુટ્ટા કરવામાં આવી રહ્યાં છે.

(11:31 am IST)