સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

ગુજરાત અને તેના ગ્રામ્ય વિસ્તારની વણથંભી વિકાસયાત્રા અવિરત ચાલુ છે અને રહેશે : કુંવરજીભાઇ બાવળીયા

ગામનો વિકાસ થાય અને ગામડાને શહેરી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબધ્ધ : મોહનભાઇ કુંડારિયા : કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં આટકોટ કલસ્ટરમાં કુલ ૮૧૧.૨૪ લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૮ : શ્યામાપ્રસાદ મુખર્જી મિશન હેઠળ આટકોટ કલસ્ટર અંતર્ગત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં તથા સાંસદ મોહનભાઈ કુંડારીયા અને સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન ભરતભાઈ બોધરાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકામોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયો હતો.

આ તકે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેત્રુત્વમાં અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામ રૂપે ગુજરાત અને તેના ગ્રામ્ય વિસ્તારની વણથંભી વિકાસયાત્રા અવિરત ચાલુ છે અને રહેશે. વિકાસયાત્રાના ભાગરૂપે આટકોટ કલસ્ટરના પાંચ ગામના લોકોને વિવિધ યોજનાનો સીધો લાભ મળશે. ગ્રામ્ય વિસ્તારના લોકોના જીવનધોરણ અને તેની સુખાકારીમાં વધારો થશે.

સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે, ખરા અર્થમાં ગામનો વિકાસ થાય અને ગામડાને શહેરી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબદ્ઘ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ જિલ્લા દીઠ પાંચ ગામોનું કલસ્ટર બનાવીને દેશના વિકાસને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરી વિસ્તાર જેવી સુવિધા મળશે.

શ્યામા પ્રસાદ મુખર્જી રુર્બન મિશનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારો જેવી માળખાગત સુવિધાઓનો વિકાસ કરી ગ્રામ્ય વિસ્તારના લોકોનો આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે તેમના સર્વાંગી વિકાસને વેગ આપવાનો છે. ભૌગોલિક રીતે સમાનતા ધરાવતા અને નજીકના વિસ્તારમાં આવેલા ગામોનો સમૂહ બનાવીને તેના માટે વિવિધ યોજનાઓ દ્વારા વિકાસ કરવામાં આવે છે જેને કલસ્ટર કહેવાય છે. આટકોટ કલસ્ટરમાં વિરનગર, આટકોટ, જંગવડ, પાંચવડા અને ખારચીયા જામ નો સમાવેશ થાય છે. આ કલસ્ટરમાં કુલ ૮૧૧.૨૪ લાખના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા જેનો લાભ આ વિસ્તારના જનસમુદાયને થશે. જે પૈકી વિરનગર ખાતે ૩૫૭.૩૬ લાખના ખર્ચે, આટકોટ ખાતે ૧૨૩.૮૮ લાખના ખર્ચે, જંગવડ ખાતે રૂ. ૧૨૪.૮ લાખના ખર્ચે, પાંચવડા ખાતે રૂ. ૧૦૭.૭૬ લાખના ખર્ચે, ખારચીયા જામ ખાતે રૂ. ૯૦.૭૪ લાખના ખર્ચે વિકસાવવામાં આવનારી સુવિધાનો સમાવેશ થશે.

આ પ્રસંગે ભરતભાઈ બોઘરા એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમજ કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ દ્વારા તથા આભારવિધી જિલ્લા લાઈવલીહુડ મેનેજર વી.બી.બસીયા દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જસદણનાં પ્રાંત અધિકારી ગલચર, મામલતદાર, આટકોટનાં પીએસ.આઇ.મેતા સરકારી દવાખાનાના અધિકક્ષ ડો.ચોધરી, ડો.હેતલબેન વિરનગર, આટકોટ, જંગવડ, પાંચવડા અને ખારચીયા (જામ)ના ગામ સરપંચો, ભાજપના આગેવાનો વિવિધ વિભાગના અધિકારીઓ તથા ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આટકોટનાં સરકારી દવાખાનાનાં સ્ટાફ દ્વારા ઉપસ્થિત ગ્રામજનો માટે સેનેટાઇઝર અને માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(11:07 am IST)