જુનાગઢમાં વેંચાતી લીધેલી બોટલમાંથી પાણી પીધા બાદ અંદર મરેલું ગરોળીનું બચ્ચુ દેખાયું!: ભય લાગતાં વૃધ્ધા અને તરૂણે સારવાર લીધી
રાજકોટથી ફુલ પધરાવવા ગયેલા ગીતાબેન અને સોહિલને રાજકોટ દાખલ કરાયા
રાજકોટ તા. ૨૦: શહેરના મવડીમાં બાપા સિતારામ ચોકમાં રહેતાં કોળી પરિવારની દિકરીનું અવસાન થયું હોઇ તેના આ પરિવારના લોકો જુનાગઢ દામોકુંડ ખાતે ફુલ પધરાવવા ગયા હતાં. જ્યાં રોડ પર પાણીની બોટલો વેંચવા બેઠેલા એક છોકરા પાસેથી આ પરિવારે એક બોટલ લીધી હતી અને તેમાંથી ત્રણ લોકોએ પાણી પીધુ હતું. પણ બાદમાં અચાનક બોટલમાં ધ્યાન પડતાં તેમાં ગરોળીનું મરેલુ બચ્ચુ જોવા મળતાં જેણે પાણી પીધું હતું તે સોહિલ જગદીશભાઇ સરવૈયા (ઉ.૧૫), છ વર્ષનો એક ટેણીયો અને સાથેના પડોશી માજી ગીતાબેન રાજુભાઇ હરિયાણી (ઉ.૬૦)ને પોતાને ઝેરી અસર થશે તેવો ભય લાગતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર લીધી હતી. જો કે સાંજે જ રજા અપાઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી જુનાગઢ પોલીસને જાણ કરી હતી.