બાવળાના નાનોદ્રામાં પ્રૌઢની હત્યા ખેતરમાં અવરજવર બાબતે બોલાચાલી
ઝઘડાના પરિણામે રોષે ભરાયેલા ત્રણ શખ્સોએ હથિયારથી હુમલો કરતા મોતઃ મહિલાને ગંભીર ઈજા
વઢવાણ, તા. ર૦ : બાવળા તાલુકાના નાનોદ્રા ગામે મોટી ડેલીવાસ વિસ્તારમાં રહેતાં ફરિયાદી ભરતભાઈ વાદ્યજીભાઈ મકવાણાના પિતા વાદ્યજીભાઈ ગામમાં આવેલ ખેતરમાં ઓરડી બનાવીને રહે છે. તેમનાં ખેતરની બાજુમાં જ ફરિયાદીના કાકા કાનજીભાઈ રામભાઈનું ખેતર આવેલું છે ત્યારે અવાર-નવાર ખેતરમાં આવવા-જવાના રસ્તા બાબતે બોલાચાલી તેમજ ઝઘડાઓ થતાં હતાં જે દરમ્યાન ફરી ખેતરમાં અવર-જવર અંગે ગઇકાલે ઝઘડો થયો હતો.
જેમાં રોષે ભરાઈ ત્રણ જેટલાં શખ્સોએ એકસંપ થઈ ફરિયાદીના પિતા તથા સાહેદ માતા ચીચીબેનને લાકડી, ધારીયું જેવા હથિયારો વડે ઈજાઓ પહોંચાડી પિતા વાધજીભાઈનું મોત નીપજાવ્યું હતું તેમજ સાહેદ ચીચીબેનને પણ ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. જે અંગે બાવળા પોલીસ મથકે ત્રણ શખ્સો કાનજીભાઈ રામાભાઈ મકવાણા, લક્ષ્મણભાઈ કાનજીભાઈ મકવાણા, જીગ્નેશભાઈ ઉર્ફે જીગો સોમાભાઈ આદીવાસી ત્રણેય રહે.નાનોદ્રા ગામની સીમ તા.બાવળાવાળા સામે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ પીએસઆઈ આર.જી.ખાંટ ચલાવી રહ્યાં છે.
જયારે સામાપક્ષે લક્ષ્મણભાઈ કાનજીભાઈ કોળી પટેલ રહે.મોટીડેલી નાનોદ્રાવાળાએ પણ ભરતભાઈ વાધજીભાઈ કોળીપટેલ તથા ચીચીબેન વાદ્યજીભાઈ કોળીપટેલ સામે ગાળો બોલી ધારીયા વડે ફરિયાદી ભરતભાઈ તથા તેમના પિતા વાધજીભાઈને ઈજાઓ પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી.(