પરણીતાના આપઘાતના ગુન્હામાં આરોપીઓનીજામીન અરજીને રદ કરતી સેસન્સ અદાલત
રાજકોટ તા. ર૭: અત્રે પરણીતાએ તેમના માવતરના ઘરે ગળાફાંસી ખાઇ આપઘાત કરી લેતા તે ગુન્હામાં તેમના પતિ મુકેશભાઇ ગોવિંદભાઇ સોલંકી તથા દિયર નિલેશભાઇ ગોવિંદભાઇ સોલંકીની રેગ્યુલર જામીન અરજીને કોર્ટ રદ કરી છે.
બનાવની હકીકત એવી છે કે ફરિયાદી સંજયભાઇ રમેશભાઇ વાઘેલા રહે. આવકાર સોસાયટી યુનિવર્સિટી રોડ વાળાના બહેન હર્ષાબેને તેમના પતિ, દીયર, સાસુ, સસરાના ત્રાસ દુઃખથી અને મકાન લેવા માટે પૈસાની માંગણીના કારણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધેલ હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરેલ અને જેલ હવાલે રહેલ આરોપી મુકેશભાઇ ગોવિંદભાઇ સોલંકી તથા નિલેશભાઇ ગોવિંદભાઇ સોલંકીએ જામીન ઉપર છુટવા સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતા સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા જણાવેલ કે સ્ત્રીઓના આપઘાતના બનાવો ખુબજ વધી ગયેલ છે અને આવા સમાજ વિરોધી ગુન્હાના ગુનેગારોને જામીન આપી શકાય નહીં. સરકાર પક્ષની રજુઆતોને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી પ્રશાંત જૈન એ આરોપીઓની જામીન અરજી રદ કરેલ છે.
આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.