એસ.ટી. સહકારી મંડળી જુનાગઢ વિભાગની તમામ-૧૧ સીટો બિનહરીફ
સોસાયટીના પ૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ રેકોર્ડ
જાુનાગઢ તા. ર૮: એસ.ટી. કર્મચારી મંડળ જુનાગઢ વિભાગના મહામંત્રી દિલીપભાઇ રવિયાની યાદી જણાવે છે કે એસ.ટી. કર્મચારીઓની સહકારી મંડળી કે જેમાં જુનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા, જેતપુર, વિભાગીય કચેરી તથા વિભાગીય યાંત્રાલય એમ કુલ ૧૧ યુનીટના અંદાજે ૧પ૦૦/- થી વધુ સભાસદોનો સમાવેશ થાય છે.
જુનાગઢ જીલ્લામાં એ ગ્રેડમાં ચાલતી મંડળીઓમાં એસ.ટી. સહકારી મંડળીનો સમાવેશ થયેલ છે. તાજેતરમાં જ મંડળીના બોર્ડ ઓફ ડાયરેકટરની ચુંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ હતો જેમાં કુલ-પ ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયેલ હતા.
વધુમાં તેઓએ જણાવેલ કે એસ.ટી. સહકારી મંડળીમાં પરંપરાગત એસ.ટી. કર્મચારી મંડળ અને એસ.ટી. મઝદુર સંઘના હોદેદારો વચ્ચે ચુંટણી થતી હતી પરંતુ ચાલુ વર્ષે ચુંટણી ખર્ચ બચાવી શકાય તેવા શુભ આશયથી બન્ને સંગઠનો દ્વારા સમાધાન થતા એસ.ટી. કર્મચારી મંડળની પેનલના-૦૬ તથા બી. એમ. એસ. યુનીયનના-૦પ ડીરેકટરો બીનહરીફ થયેલા છે. એસ.ટી. સહકારી મંડળમાં ગત વર્ષ છેલ્લા ૧૪ વર્ષના કયારેય ચુકવાયેલ ન હોઇ તેવું ૧૦% રેકોર્ડ બ્રેક ડીવીડન્ડ કામદારોને ચુકવ્યા બાદ બોર્ડની ચુંટણીમાં છેલ્લા-પ૧ વર્ષમાં કયારેય શકય બનેલ ન હોઇ તેવી બાબતે સમાધાન કરી રેકોર્ડ બ્રેક તમામ-૧૧ ઉમેદવારો બીનહરીફ થયેલ છે જેથી સભાસદોને ખર્ચ ઘટતા સીધો ફાયદો થવા પામશે.
આ તકે રવિયા દ્વારા ચુંટણી પ્રક્રિયા કોઇપણ પ્રકારના વાદ-વિવાદ વગર સમાપ્ત થતા બન્ને સંગઠનના દરેક આગેવાનો તથા સોસાયટીના સભ્યોનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો તથા તમામ આગેવાનોને અભિનંદન આપી આગામી દિવસોમાં સભાસદોના હિતમાં કામગીરી કરવા અનુરોધ કરવામાં આવેલ હતો. સોસાયટીના ઇતિહાસમાં પ્રથમ વખત ૧૧ ડીરેકટરો કોઇપણ વાદ-વિવાદ વગર બિનહરીફ થતા કામદારોમાં આનંદની લાગણી ફેલાયેલ છે