ભાવનગરના અગિયારી ગામે યુવતિને ધરાર પ્રેમ કરીને આપઘાતની ફરજ પાડનાર શખ્સને ત્રણ વર્ષની સજા
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮ : અઢી વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામે યુવતિ સાથે એક તરફી અને ધરાર પ્રેમ કરી જો સબંધ ના રાખે તો યુવતિના પરિવારને મારી નાખવાની ધમકી આપતા અને યુવતિને મરવા મજબૂર કરતા પરિણિત શબ્સ અને તેની પત્ની સામે આ અંગેની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી જે અંગેનો કેસ અત્રેની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપીને કસૂરવાર ઠરાવેલ છે. અને ૩ વર્ષથી સજા ફટકારી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી બાબુભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ મયાત્રા ઉ.વ.૨૭ રહે . અગિયાળી, તા.સિહોર નામના શખ્સ આ કામના ફરીયાદીની દિકરી મનિષાને પોતાની સાથે પ્રેમ સબંધ રાખવા અવાર નવાર ધમકી આપતો હોય અને સબંધ ન રાખે તો યુવતિના પરીવારને જાનથી મારી નાખવાની તેમજ મનિષાની જયા સગાઈ થયેલ ત્યા , બદનામ કરી , તોડાવી નાખવાની ધમકીઓના ડરને કારણે મનિષાની ઈચ્છા ન હોવા છતા ડરને લીધે આરોપી બાબુભાઈ સાથે સબંધ રાખવા મજબુર હતી તેમજ મુખ્ય આરોપીની પત્ની વિમળાબેન બાબુભાઈ એ મનિષાને તેના ઘરે થી બહાર લઈ જઈ અને મારા પતિને કંઈ પણ થયુ તો તારા મા બાપને મારી નાખીશુ તેવી ધમકી આપેલ હોય , જેથી બંને આરોપીઓના અવાર નવાર આવા ત્રાસને લીધે મનિષાએ કંટાળી જઈ ગઈ તા .૨૭/ ૧/૧૯ ના રોજ મનિષાએ પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી જતા મરણ ગયેલ . ઉપરોકત બનાવ અંગે જે તે સમયે મરણ જનારના પિતા મહેન્દ્રભાઈ દામજીભાઈ ડાભી રહે . અગિયાળીએ સિહોર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ બાબુભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ મયાત્રા, વિમળાબેન બાબુ ભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ મયાત્રાની સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ઈ.પી.કો. કલમ -૩૦૪ , ૫૦૬ (૨) , ૧૧૪ મુજબનો ગુન્હો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની અસર કારક દલીલો , આધાર - પુરાવા , સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપી બાબુભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ મયાત્રાની સામે ઈ.પી.કો. કલમ -૩૦૪ , ૫૦૬ (૨) મુજબના ગુન્હા સબબ આરોપીને ૩ વર્ષની સજા અને ર ૫ હજાર દંડ તથા ૬ લાખ ૭૫ હજાર ગુજરનારના પરીવારને ચુકવવાનો હુકમ કરેલ છે.