ચોટીલાના મેવાસાના દારૃના કેસમાં બે આરોપીઓની જામીન અરજી રદ્દ
ચોટીલા તા. ૨૮ : ચોટીલા તાલુકાના મેવાસા ગામની સીમમાં પોલીસે દરોડો કરીને રૃપિયા ૧૦.૯૮ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી લીધો હતો. આ કસમાં જેલમાં રહેલા બે શખ્સોએ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે. મેવાસાની સીમમાં ઉગમણી બાજુ આવેલ પડતર જગ્યામાં વિદેશી દારૃ હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી.
જેમાં વિદેશી દારૃની ૨૯૪૦ બોટલ અને બિયરના ૨૧૬૦ ટીન સહિત રૃપિયા ૧૦.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં ઝડપાયેલા વશરામ ઉર્ફે ટીનો અરજણભાઇ વાળાને પૂછપરછ દરમિયાન અન્ય શખ્સોના નામ આપ્યા હતા. આથી બામણબોર પોલીસે મેવાસાના અશ્વીનભાઇ નરશીભાઇ ગોવાણી અને ભરતભાઇ નાથાભાઇ ગોવાણીની ધરપકડ કરી હતી.
આ બન્ને આરોપીઓએ જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી ચાલી જતા સરકારી વકીલ ટી.એ.વ્યાસની દલીલો અને બામણબોર પીએસઆઇ આર.આર.બંસલે રજૂ કરેલ સોગંધનામાના આધારે અશ્વીનભાઇ ગોવાણી અને ભરતભાઇ ગોવાણીની જામીન પર મુકત થવાની અરજી એડિશનલ સેશન્સ જજ એચ.બી.પાનેરીએ નામંજૂર કરી છે.