જેતપુરમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૨૦ વર્ષની સજા
આરોપીએ સાત વર્ષ પહેલા સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધીને લગ્ન કરી હવસનો શિકાર બનાવી હતી : પીડીતા સગીરાને છ લાખનું વળતર આપવા હુકમ : જેતપુર સેસન્સ કોર્ટનો ચુકાદો
રાજકોટ,તા.૨૮: જેતપુર શહેરમાં સાત વર્ષ પૂર્વે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી યુપીમાં સગીરા સાથે લગ્ન કરી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં યુપીના શખ્સને ૨૦ વર્ષની સજા અને ભોગ બનનારને ૬ લાખનું વળતર તેમજ પાંચ હજારનો દંડ અને મદદગારી કરનાર શખ્સ ને છોડી મૂકવાનો અધિક સેસન્સ જજે હુકમ કર્યો છે વધુ વિગત મુજબ જેતપુરના ધોરાજી રોડ પર આવેલા કારખાનામા રહેતો અને મૂળ યુપીનો અને કારખાનામાં કામ કરતો મંતોસ ઉર્ફે ગોવિંદ મહાતમ ગ વાલા નામના પરપ્રાંતીય યુવકે પાડોશમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વતનમાં લગ્ન કરી દુષ્કર્મ ગુજાર્યાની ભોગ બનનારના વાલીએ જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ગુનામાં મદદગારી કરનાર રાજકોટના રણછોડ નગર સોસાયટીમાં રહેતા હિરેન ઉર્ફે પીન્ટુ નારાયણ રામાણી સામે પણ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી પોલીસની તપાસ પૂર્ણ થતા બન્ને શખ્સને જેલહવાલે કરી તપાસનીસ દ્વારા જેતપુરની અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. અદાલતમાં કેસ ચાર્જફ્રેમ થતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બંને પક્ષોની દલીલો બાદ સરકાર પક્ષે કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલો તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ટાકેલા ચુકાદાઓ તેમજ સરકાર પક્ષે એ.પી.પી કે.એ.પંડ્યા દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો ધ્યાને લઇ અધિક સેસન્સ જજ આર.આર. ચૌધરીએ મંતોસ ઉર્ફે ગોવિંદ વાલાને ૨૦ વર્ષની સજા અને ભોગ બનનારને ૬ લાખનું વળતર તેમજ પાંચ હજારનો દંડ ચૂકવવામાં આરોપી કસુર ઠરે તો વધુ છ માસની કેદ અને જયારે મદદગારી કરનાર પીન્ટુ નારાયણ રામાણીને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.