સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

જેતપુરમાં ટ્રેન હડફેટે બે પરપ્રાંતીય બાળકોના મોત

પૂલ ઉપર રમી રહ્યા હતા ત્યારે ટ્રેન આવતા દુર્ઘટના સર્જાઈઃ સાડીના કારખાનામાં કામ કરતા મજુર પરિવારમાં અરેરાટી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૨૮ :. જેતપુરમાં આજે બપોરે ટ્રેન હડફેટે બે બાળકોના મોત થતા પરપ્રાંતીય મજુર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જેતપુર ગામમાં આવેલ ભાદર નદીના પૂલ ઉપર પરપ્રાંતીય અરવિંદ શંભુપ્રસાદ (ઉ.વ. ૧૪) અને દિપુ મંડલ (ઉ.વ. ૭) ટ્રેનના પાટા પાસે રમી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપી આવી રહેલ ત્રિવેન્દ્રમ ટ્રેન હડફેટે બન્ને બાળકો આવી જતા બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

આ બનાવની જાણ થતા પરિવારજનો તથા જેતપુરના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પૂલ પાસે મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક બન્ને બાળકોના પરિવારજનો ભાદર નદીના પૂલ પાસે જ આવેલા કારખાનામાં કામ કરતા હતા ત્યારે આ બનાવની જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. એક સાથે બે બાળકોના મોતથી પરપ્રાંતીય પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.

(4:59 pm IST)