સુપ્રસિધ્ધ યાત્રાધામ બાવીસકોટડાનો ક્રોઝવે ધોવાતાં મંદિર અને વિસ્તાર બન્યા ટાપુ
દર વર્ષની પળોઝણ છતાં તંત્રના આંખ આડા કાન : પુલ માત્ર કાગળ પર મંજૂર કર્યો હોય તેવી લોકોને શંકા
(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૨૮:પાનેલીથી બાર કિલોમીટર દૂર જામજોધપુર તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ ઐતિહાસિક યાત્રાધામ કોટડાબાવીશી ધામ જે જામજોધપુરથી સાત કિમિના અંતરે કોટડા ગામની સામે પાર વેણુનદીના કાંઠે માઁ બાવીસીઆઈનું પૌરાણિક મંદિર આવેલું છે મંદિરમાં બાવીસ બાવીસ ચારણ બેનોનો ભવ્ય ઇતિહાસ સાથે સમાધિ સ્વરૂપે બિરાજમાન છે અનેક પરચાઓ સાથે સાક્ષાત માતાજી ભક્તોના દુઃખદર્દ દૂર કરી અનહદ સુખ આપી રહી છે અનેકોનેક ના ખોળા ભર્યા છે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માઁ ના દર્શને પધારે છે અનેક ભક્તો માઁ ની માનતા માટે પગપાળા પણ પધારે છે મંદિરે આવવા માટે દરરોજ આઠ થી દસ જેટલી એસટી બસ ની સુવિધા પણ તંત્ર તરફથી મુકવામાં આવેલ છે.ᅠ
માઁ ના દર્શન અર્થે મહામહિમ રાજયપાલ આનંદીબેન પટેલ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ મંત્રીશ્રી ચીમનભાઈ સાપરીયા સહિતના અનેક મહાનુભાવો વખતોવખત માઁ ના શ્રી ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે.મંદિરે જવા માટે કોટડા ગામથી ક્રોઝવે પરથી ગામની સામેપાર ભવ્ય અને દિવ્ય મંદિરે જય શકાય છે પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંદિરે જવા માટેનો ક્રોઝવે ભારે વરસાદને કારણે દર ચોમાસાના પહેલાજ વરસાદમાં ધોવાઈ જાય છે ત્યારબાદ ચોમાસાના ચાર મહિના પછી નદીમાં પાણી ઓસરતાં દરવર્ષે કાચી માટી નાખીને ક્રોઝવે રીપેર કરી દેવામાં આવે છે જે ચોમાસા બાદ બે મહિના પછી કામ થાય છે આમ આખા વર્ષમાં લગભગ છ માસ સુધી મંદિરે જવાનો એકમાત્ર રસ્તો બંધ રહે છે.
છ છ માસ સુધી મંદિર અને પ્રસાસન સાથે વિસ્તાર ટાપુમાં ફેરવાઈ જાય છે વિસ્તારમાં રહેતા માલધારી સહીત મજુર પરિવારોને સામે જ દેખાતા ગામમાં જવા માટે પગપાળા ખેતર માર્ગ પરથી ફરી ફરીનેદશ કિલોમીટરનું અંતર કાપી હટાણું કરવા જવુ પડે છે. આ લોકોની આ પરિસ્થિતિ અત્યંત દયનિય અને કરુણા ઉપજાવે એવી બને છે.
મંદિર પ્રસાસન અને ગામલોકો દ્વારા અનેક વખતની રજુઆત અને સમાચારપત્રના અહેવાલના માધ્યમથી ગયા વર્ષે તંત્ર દ્વારા મંદિરે જવામાટે બ્રિજ મંજુર કરવામાં આવ્યો હતો પરંતુ બ્રિજ માત્ર કાગળ ઉપર જ મંજુર થયો છે કે શું??ᅠ ગત આખાવર્ષ માં કોઈજ કામગીરી તંત્ર તરફથી કરવામાં આવી નથી કે નથી કોઈ એંધાણ.લોકો અને શ્રદ્ધાળુઓમાં બ્રિજ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું બ્રિજને બકરી ખાઈ ગઈ??ᅠ બ્રિજ મંજુર થયો બ્રિજની રકમ પણ મંજુર કરવામાં આવી કોન્ટ્રાકટ પણ અપાઈ ગયો બધું જ થયું પણ આગળ ની કોઈ કાર્યવાહી સામે ના આવી. તંત્રએ આ અંગે ગંભીર બની કોઈ જાતનીᅠ કામગીરી કેમ નથી કરવામાં આવી તે ચોક્કસ કરવું જોઈએ.
હાલની સરકાર પૌરાણિક સ્થાનો માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી ઇતિહાસને કાયમ રાખવા માંગે છે ત્યારે એ નથી સમજાતું કે આ પૌરાણિક મંદિર પ્રત્યે આંખ આડા કાન કેમ?? માતાજીના લાખો ભક્તોમાં આ અંગે સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળે છે.દર વર્ષે ક્રોઝવે ધોવાઈ છે હજારો શ્રદ્ધાળુઓ હેરાન પરેશાન થાય છે છતાં તંત્રની આંખ કેમ નથી ઉદ્યડતી.
ફરી પાછો પેલાજ વરસાદમાં ક્રોઝવે ધોવાઈ ગયો હોય મન્દિર ટાપુમાં ફેરવાઈ ગયું હોય શ્રદ્ધાળુઓ મન્દિરે કઇરીતે જય શકે.તંત્રએ આ અંગે ગંભીર બની વહેલામાં વહેલી તકે મંદિર જવાનો તાત્કાલિક રસ્તો બનાવી બ્રિજની કામગીરી તત્કાલ ધોરણે ચાલુ થાય તેવા પ્રયત્નો કરવા શ્રદ્ધાળુઓની માંગ ઉઠી છે.
દરવર્ષે ક્રોઝવે ધોવાઈ જાય છે નદીમાં પાણી વહેતુ હોય ત્યાં સુધી કોઈ આવી ના શકે તેમછતાં ઘણા લોકો વહેતા પાણીમાં ચાલીને જીવના જોખમે માઁની માનતા પુરી કરવા આવી પહોંચે છે મંદિર પ્રસાસન દ્વારા સોસીયલ મીડિયાના માધ્યમથી તમામ ને મંદિરેના આવવા સ્પષ્ટ જાણકરી સાથે તૂટેલા ક્રોઝવેના ફોટા વિડિઓ પણ બતાવી મનાઈ ફરમાવવામાં આવતી હોવા છતાં માતાજીના ભક્તો સાહસ કરે છે દ્યણી વખત અણબનાવ બન્યા છે પરંતુ માઁ ની કૃપાથી ભક્તો બચી શક્યા છે.પરંતુ જો કોઈ જાનહાની સર્જાય તો જવાબદાર કોણ એ પણ પ્રશ્ન છે.હજુ કોરોનાં ના લીધે માંડ મંદિર ખુલ્યું હતું બહોળી સંખ્યામાં ભક્તજનો આવી રહ્યા હતા ત્યાં જ ક્રોઝવે ધોવાઈ જતા ભક્તજનો ભારે નિરાશ થયાં છે. તેમ પૂજારી બટુક મહારાજ, બાવાશી આઇ મંદિરએ જણાવ્યું છે.