ભુજમાં પડોશી સાથેના ઝઘડાથી કંટાળેલી મહિલાએ તળાવમાં મારી મોતની છલાંગ
જીવ દીધા પહેલા પરિવારજનોને ફોન કર્યા : ૭ વર્ષના પુત્રે માની મમતા ગુમાવી
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૮ : ભુજને અડીને આવેલ માધાપર ગામની મહિલાએ પડોશી સાથેના રોજિંદા ઝઘડાથી કંટાળીને પોતાનો જીવ દઈ દેતાં અરેરાટી છવાઈ છે.
૩૪ વર્ષીય મનીષા ચેતન જેઠી નામની પરિણીત મહિલાએ ભુજના હમીરસર તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. આત્મહત્યા કરતાં પહેલા તેણે પોતાના પરિવારજનોને ફોન કર્યા હતા. જેને પગલે પરિવારજનો તળાવે પહોંચ્યા હતા તેમ જ નગરપાલિકાની મદદથી શોધખોળ ચાલુ કરી હતી. ૪ કલાક બાદ તેની લાશ મળી હતી.
૭ વર્ષના પુત્રે માં ની મમતા ગુમાવતાં તળાવ ઉપર જ પરિવારનું આક્રંદ સર્જાયું હતું. મૃતક મહિલાના પતિ ચેતન જેઠી એ પીઠાભાઈ આહીર નામના પડોશી દ્વારા ગટરના મુદ્દે દરરોજ કરાતાં ઝઘડાથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ લખાવી છે. ભુજ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.