જૂનાગઢ કોર્પોરેશન દ્વારા શહેરી ઘર વિહોણા માટે આશ્રયસ્થાનનુ લોકર્પણ
મેયર ગીતાબેન એમ. પરમારના હસ્તે સુવિધા ખુલ્લી મુકાઇ
(વિનુ જોશી) જૂનાગઢ :તા.૨૮ : મહાનગરપાલીકા ડે.એન.યુ.એ.એમ. યોજના અંતર્ગત સોરઠ ભવન ગાંધી ચોક ખાતેના ત્રીજા માળ પર શહેરી ઘર વિહોણા માટેના આશ્રયસ્થાનનું લોકાર્પણ મેયર ગીતાબેન પરમારના હસ્તે કરાયું છે. જેમાં કમિશ્નર રાજેશ તન્ના, વાલભાઇ આમછેડા, પ્રોજેકટ ઓફિસર વત્સલાબેન દવે, નિશાબેન ઘાંધલ હાજર રહ્યા હતા.
આશ્રયસ્થાનના નવીનીકરણ માટે જી.યુ.એલ.એમ. ગાંધીનગર દ્વારા ૫૦.૨૩ લાખની ગ્રાન્ટ મંજૂર કરાઇ હતી. સંચાલન ખાદીગ્રામ ઉદ્યોગ અમદાવાદને સોપાયુ છે. જેમા ૬૦ લોકોને રહેવા, જમવા, પ્રાથમિક સારવાર, શુધ્ધ પીવાનું પાણી, સુવાના બેડ, ચાદર, વોશરૂમ જેવી પાયાની સેવા પુરી પડાઇ છે. શેલ્ટર હોમમાં રહેતા લોકોનું મહિનામાં બે વખત હેલ્થ ચેક અપ કરાય છે. વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે આધાર કાર્ડ, રેશનકાર્ડ વૃધ્ધ પેન્શન યોજના, આયુષ્માન કાર્ડ સાથે સંકલન કરાવવામાં આવે છે.
હાલ પાલિકા હદ વિસ્તારમાં કુલ ૩ શેલ્ટર કાર્યરત છે. જેની ક્ષમતા ૬૦ લાભાર્થીની છે. હવે તે વધીને ૧૨૦ થઇ છે. જેમાં ૩૦૨ લાભાર્થીઓને આધાર કાર્ડ, ૯ ને રેશન કાર્ડ, ૩ વૃધ્ધને પેન્શન, ૨૩ ને આયુષ્યમાન કાર્ડ કરાવી આપેલ છે. અત્યાર સુધીમાં ૫૫ હેલ્થ ચેકઅપ કેમ્પ ૨૬૮ લોકોને કોવિડ વેકિસનેશનને લાભ અપાયો છે. જન સંપર્ક અધિકારી યાદીમાં જણાવ્યુ છે.