મોરબીમાં સિરામિક ઉધોગ પર ગેસ લાઈન પર મુકવામાં આવેલ કાપ દુર કરી નાખવામાં આવતા સિરામિક ઉધોગપતિઓમાં ખુશીનો માહોલ
મોરબીમાં ગેસની સપ્લાયને પહોંચી વળવા માટે જીએસપીસી દ્વારા તાબડતોબ પાઇપલાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પાઇપલાઇનના કામને પૂરું કરવા બાદ ગેસ કંપનીએ ઉદ્યોગો માટે જે ૨૦ ટકા ગેસ કાપ મુક્યો હતો. તેને ઘટાડીને ૧૦ ટકા કરી નાખ્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થઈ જતા આજરોજ ગેસ કંપનીએ ફરી કાપમાં ઘટાડો કર્યો છે.
સુત્રો દ્વારા જીએસપીસીના અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું કે મોરબીના સીરામીક ઉદ્યોગોને લખધીરપુર, ઢુઆ અને પીપળી-ગાળા એમ ત્રણ ગેસની લાઈનમાંથી ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે.આજ રોજથી લખધીરપુર અને ઢુંઆ લાઈનમાંથી ૧૦ ટકા ગેસ કાપ નાબૂદ કરવામાં આવ્યો છે. જ્યારે પીપળી ગાળા ગેસ લાઈનમાં ૫ ટકા ગેસ કાપ નાબૂદ કરાયો છે. જેથી હવે આ લાઈનમાં માત્ર ૫ ટકા જ ગેસ કાપ રહેશે. આ ગેસ કાપ પણ આગામી સમયમાં નાબૂદ કરવામાં આવનાર છે.
સીરામીક એસોસિએશને ગુજરાત ગેસના સીઈઓ નીતિન પાટીલને રજુઆત કરી હતી કે અનેક કંપનીમાં બે-કિલન છે. આવી કંપનીઓએ ગેસની જરુરીઆત માટે અરજી કરેલ છે. કુલ ૪૭ કંપની માંથી ૬ કંપની સાવ બંધ છે અને 41 કંપનીમાં બીજી કિલન ચાલુ કરવા માંગે છે. આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને તાત્કાલિક ધોરણે ગેસ સપ્લાય કરવામાં આવે તેવી માંગ છે.