ગીર અભ્યારણમાં તુલશીશ્યામ રેંજમાં સિંહબાળ અને દીપડાનો મૃતદેહ મળ્યો:વનવિભાગ દોડ્યું
ભાણીયા વીડી વિસ્તારમાંથી સિંહબાળ અને પીપળવા રેવન્યુ વિસ્તારમાંથી દિપડાનો મૃતદેહ મળ્યો
ગીર અભ્યારણ્યમાં આવતા તુલશીશ્યામ રેંજમાં આજે બે અલગ અલગ સ્થળેથી સિંહબાળ અને દિપડાનો મૃતદેહ મળી આવતા વનવિભાગનું તંત્ર દોડતું થઇ ગયું હતું. ભાણીયા વીડી વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ જ્યારે પીપળવા રેવન્યુ વિસ્તારમાંથી દિપડાનો મૃતદેહ મળ્યો હતો.પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ સિંહબાળનું ઇન્ફાઇટથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
ખાંભા તાલુકાના ભાણીયા વાડી વિસ્તારમાં એક વર્ષના સિંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની વન વિભાગને માહિતી મળતા તુલશીશ્યામ રેંજનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. તપાસ કરતાં સિંહબાળના શરીર પર ઇન્ફાઇટમાં થયેલી ઇજાના નિશાન મળી આવ્યા હતા. વન વિભાગે સિંહબાળનો મૃતદેહ કબ્જે લઇને પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી એક ઘટનામાં તુલશીશ્યામ રેંજના પીપળવા રેવન્યુ વિસ્તારમાં દિપડા મૃત હાલતમાં મળી આવ્યો છે. અહીં સીમ વિસ્તારમાં દિપડાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોએ વનવિભાગને કરી હતી. દીપડાના મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી વનવિભાગે હાથ ધરી હતી. વનવિભાગના સુત્રોનું માનીએ તો, અંદાજે 12 વર્ષની ઉંમરનો આ દિપડો અશકત થતાં મોતને ભેટયો છે