સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

ગીર સોમનાથ જિલ્લામાં ઓરી - રૂબેલા રસીથી આરક્ષિત કરાશે : વેરાવળમાં વર્કશોપ યોજાયો

ગીર સોમનાથ તા. ૨૮ : વેરાવળ પ્રાંત કચેરી ખાતે આજે પ્રાંત અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને ઓરી-રૂબેલા રસીકરણ માટે વર્કશોપ યોજાયો હતો. રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ઓરી અને રૂબેલા રોગ સામે રક્ષણ આપવા માટે યોજાયેલ વર્કશોપમાં આરોગ્ય શાખાની ટીમ દ્રારા લોકોને જાગૃત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રાંત અધિકારીશ્રી રાઠોડે જણાવ્યુ હતું કે, ઓરી અને રૂબેલા રોગથી મૃત્યું પામતા બાળકોને બચાવવા માટે સરકારે રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. ગીર સોમનાથ જિલ્લા અને વેરાવળ શહેરમાં તા. ૧૫ જૂન થી ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામા આવશે. જેમાં જિલ્લાના ૯ થી ૧૫ વર્ષના આશરે ૨.૫ લાખ બાળકોને આવરી લઈ ઓરી-રૂબેલાની રસીથી આરક્ષીત કરવામા આવશે. તેઓએ વધુમાં કહ્યું કે, આ અભિયાન ૫ અઠવાડિયા સુધી કાર્યરત રહેવાની સાથે સરકારી, ખાનગી શાળાઓમાં,પંચાયત, આંગણવાડી અને મુખ્ય જાહેર સ્થળોએ આરોગ્ય શાખાની ટીમ દ્રારા બાળકોને ઓરી-રૂબેલાની રસીથી આરક્ષીત કરવામાં આવશે. તેમજ છેલ્લે આ રસીથી વંચિત રહી ન જાય તે માટે મોબાઈલ વાનની વ્યવસ્થા કરી રસીકરણ કરવામાં આવશે. 

વાલીઓને અનુરોધ કરતા તેઓએ કહ્યું કે, બાળકોને કોઈપણ સંજોગોમાં ફરજીયાત પણે ઓરી-રૂબેલાથી રસી મુકાવવી આવશ્યક છે ૯ થી ૧૫ વર્ષના બાળકોને ગમે ત્યારે ઓરી-રૂબેલા રોગ થવાની સંભાવના રહેતી હોવાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં એકપણ બાળક આ રસીથી વંચિત રહી ન જાય તે માટે સામાજીક સંસ્થાઓ, વાલીઓ અને આરોગ્ય શાખાની ટીમના કર્મચારીઓએ કાળજી લેવાની જરૂરીયાત છે. ઓરી એક જીવલેણ રોગ છે. જે વાઈરસ દ્રારા ફેલાય છે. બાળકોમાં ઓરીને લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યું થઈ શકે છે.

જિલ્લા મેલેરીયા અધિકારી ડો.નિમાવતે નિપા વાયરસ અંગે માર્ગદર્શન અને જાણકારી આપી હતી.

નોડલ મેડીકલ ઓફિસર ડો.સીકોતરીયાએ આ વર્કશોપમાં પાવર પ્રેઝેન્ટેશનના માધ્યમથી વિગતવાર માહિતી આપી ઓરી-રૂબેલા અને નિપા રોગથી જાગૃત રહેવા સમજણ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં તાલુકા આરોગ્ય અધિકારી ચૌધરી, સી.ડી.પી.ઓ. મંજુલાબેન મકવાણા અગ્રણી લખમભાઈ ભેંસલા અને આરોગ્ય શાખાની ટીમ ઉપસ્થિત રહી હતી.(૨૧.૪)

(8:58 am IST)