ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આઠ દિવસ માટે સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત
૨૯/૪/૨૧ થી ૬/૫/૨૧ સુધી ૩૦ જેટલાં વિવિધ એસોસિએશનનું સમર્થન : દૂધની ડેરી સવાર સાંજ બે કલાક ખુલશે : મેડિકલ સ્ટોર સેવાઓ ચાલુ રહેશે
ધોરાજી,તા. ૨૮ : ધોરાજીમાં બેકાબુ થઇ રહેલ કોરોના મહામારીની ચેઈન તોડવા માટે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ અને તેની સાથે જોડાયેલા ૩૦ જેટલા એસોસિયનની કિંમતમલ હોલ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં આઠ દિવસ માટે ધોરાજી સ્વૈચ્છિક રીતે લોકડાઉનની જાહેરાત કરી હતી
વેપાર ઉદ્યોગ મહામંડળ ધોરાજીના પ્રમુખ લલીતભાઈ વોરા ના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લલીતભાઈ વોરા જણાવેલ કે છેલ્લા ઘણા સમયથી ધોરાજી ઉપર આફત આવી છે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તંત્ર આ બાબતમાં નિષ્ફળ રહ્યું છે ત્યારે સ્વયં લોકો અને વેપારી ઓ જાગૃત બને તે હેતુથી આજે આ બેઠક બોલાવવામાં આવી છે આજની બેઠકમાં ધોરાજીના અનેક વેપારીઓ કરોના ને કારણે અવસાન પામ્યા છે જે આપણા માટે ઘણું દુઃખ કહેવાય તેમના માટે બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી.
બાદ લલીતભાઈ વોરા જણાવેલ કે હાલમાં ધોરાજીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવો એ આપણા સૌની ફરજ છે અને કોરોનાનો સંક્રમણ અને સાંકળ તોડવા બાબતે આપણે સૌએ ગુરુવારથી ગુરુવાર આઠ દિવસ સુધી બંધ કરવું પડશે એટલું જ નહીં ધોરાજીમાં જાહેરમાં નીકળવું નહીં અને આઠ દિવસ સુધી ઘરમાં જ સુરક્ષિત રહી અને પોતાનું કાર્ય કરવું તે બાબતે તમામ વેપારી એસોસીએશનને વિનંતી કરી હતી.
આ સમયે તમામ વેપારીઓ સ્વેચ્છિક લોકડાઉન પાળવા સર્વ સંમતિ સધાઇ હતી.
આગામી તારીખ ૨૯ /૪ થી ૬/૫ ગુરુવારથી ગુરુવાર સુધી આઠ દિવસનું સંપૂર્ણ લોકડાઉંન પાળવા નક્કી કરવામાં આવ્યું હતું વિશે જણાવેલ કે તમામ વેપારીઓ આઠ દિવસ માટે પોતાની દુકાનો બંધ રાખશે જોકે મેડિકલ સ્ટોર ૨૪ કલાક ખુલ્લા રહેશે ઉપરાંત દૂધની ડેરીઓ સવારે બે કલાક અને સાંજે બે કલાક ખુલશે શાકમાર્કેટ બંધ રહેશે અને શાકભાજીની ફેરી કરનારા ને છૂટ આપવામાં આવી છે. શેરી મહોલ્લા અને સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા શાકભાજી વેચી શકશે તેઓ કોઈપણ એક જગ્યાએ વધુ સંખ્યામાં એકત્રીત થઈ શકશે નહીં. વેપાર ઉદ્યોગ મહામંડળના નિર્ણયને સરકારી અધિકારીઓએ આવકાર્યો હતો
આ સાથે મુસ્લિમ સમાજના અગ્રણી મકબુલભાઈ ગરાણા એ ધોરાજી આઠ દિવસના બંધના એલાનને વેપાર ઉદ્યોગ મહામંડળને ટેકો આપતા જણાવેલ કે ત્રણ દરવાજા પાસે શાકભાજીની લારીઓ એક સાથે ઊભી રહી છે તે પણ આઠ દિવસ સુધી સંપૂર્ણપણે બંધ પાળશે તેમાં મુખ્ય સમાજ પણ પૂરો સહકાર આપશે અને ધોરાજીમાં જાહેર બજારોમાં પણ મુસ્લિમ સમાજની જેટલી દુકાનો છે તે પણ આજ દિવસ સુધી બંધમાં જોડાશે તે અંગે ખાતરી આપી હતી.અને ધોરાજી પોલીસ ઇન્સ્પેકટર હુકુમત સિંહ જાડેજાએ પોલીસ તરફથી વેપારીઓને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી. તેમજ ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા એપણ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ને આઠ દિવસના lockdown બાબતે શુભેચ્છા પાઠવી હતી અને સરકારી તંત્ર તમારી સાથે રહેશે તે બાબતે પણ આશ્વાસન આપ્યું હતું અને લોકોને વિનંતી કરી હતી કે ધોરાજીમાં ચેઇન તોડવા બાબતે તમામ વેપારીઓ અને આમ જનતા પણ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ને કોરોના મહામારી નાથવા બાબતે સહયોગ આપવા પણ વિનંતી કરી હતી.