કંડલા પોર્ટ ઉપર બે માલવાહક જહાજ વચ્ચે ટક્કર
એક જહાજની રેલીંગ તૂટી ગઇ : જાનહાનિ નથી
(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૮ : કંડલા પોર્ટ ઉપર જહાજ આવતી જતી વેળાએ નાના મોટા અકસ્માતોની વણઝાર ચાલુ જ રહે છે. ફરી એક વાર અહીં બે જહાજ વચ્ચે ટક્કર થઈ છે. કોમર્શિયલ વ્હીકલ ભરેલ એમ.વી.
ગ્લોરી જહાજનું લંગર કાઢીને પાયલોટ સ્ટેશન તરફ લઈ જવાતું હતું ત્યારે પાણીમાં રહેલ મોજાના વેવ વચ્ચે સંતુલન જાળવવામાં નિષ્ફળ રહેતાં નજીકમાં લાંગરેલા કોલસા ભરેલા જહાજ મેડોરા સાથે ટકરાયું હતું. જેમાં એક જહાજની રેલીંગ તૂટી ગઈ હતી.
કોલસા ભરેલા મેડોરો જહાજને ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. આ જહાજને ક્રેન અને બાર્જ દ્વારા ખાલી કરવાની પ્રક્રિયા રિશી શિપિંગ કંપની દ્વારા ચાલી રહી હતી. જોકે, આ ટક્કરમાં કોઈ વધુ નુકસાની થઈ નથી એવું રિશી શિપિંગના મનોજ મનસુખાનીએ જણાવ્યું હતું.