મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે બે દિવસીય બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે.
સમાજ શ્રેષ્ઠીઓનું સંમેલન, યુવતી સંમેલન અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમ પણ યોજાશે
મોરબી : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શક્ત શનાળા ખાતે આવેલા સરસ્વતી શિશુમંદિર ખાતે કાલ તારીખ 28 જાન્યુઆરીને શનિવાર તથા 29 જાન્યુઆરીને રવિવારના રોજ ભારતમાતા મંદિર તથા બાવન શક્તિપીઠનો તૃતીય પાટોત્સવ યોજાશે. આ પાટોત્સવમાં મહાયજ્ઞની સાથે સાથે 3 કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે.
જેમાં આવતીકાલે તારીખ 28 જાન્યુઆરી ને શનિવારના રોજ બપોરે 3 થી 5 કલાકે 17 થી 21 વર્ષની યુવતીઓ માટે યુવતી સંમેલન યોજાશે. જેમાં વક્તા તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના નિવૃત પ્રાચાર્ય કનુભાઈ કરકર ઉપસ્થિત રહેશે અને દીકરીઓ સાવધાન વિષય પર વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રંજનબેન મકવાણા (બાળ સુરક્ષા અધિકારી), કંચનબેન ભૂત (પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જૂનાગઢ) અને પી.એચ. લખધીરકા (પીઆઈ) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં 17 થી 21 વર્ષની દીકરીઓને જોડાવા આમંત્રણ પાઠવાયું છે.
જ્યારે 28 જાન્યુઆરીએ રાત્રે 9 કલાકે સમાજ શ્રેષ્ઠીઓનું સંમેલન યોજાશે. જેમાં વક્તા કનુભાઈ કરકર સફળ જીવનનો આધાર-શ્રેષ્ઠ ચિંતન વિષય પર વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહેશે. બીજા દિવસે એટલે કે 29 જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે 10-30 કલાકે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વક્તા કનુભાઈ કરકર કૃતિશીલ દેશભક્તિ વિષય પર વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રના પ્રમુખ વિશ્વભાઈ કોરીંગા અને યુવા આર્મી ગ્રુપના પ્રમુખ પીયુષભાઈ બોપલીયા હાજરી આપશે. તો આ કાર્યક્રમનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે