સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

મોરબીના ભરતનગરના ખેડૂતોના ખેતરમાં પાણી ઘુસવાનો પ્રશ્ન તાત્કાલીક ઉકેલવા તાકીદ કરતાં મેરજા

 મોરબી ,તા. ૨૮ : ભરતનગર ગામના ખેડૂતોના ખેતરમાં પાણીની પાઇપલાઇન તુટી ગયેલ હોવાથી પાક નુકશાની બાબતે  સ્થાનિક આગેવાન નવીનભાઇ ફેફર, વિઠ્ઠલભાઇ પાંચોટીયા અને તાલુકા પંચાયતના સદસ્ય હર્ષદભાઇ સહિતના ખેડૂતોએ એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમમાં આવેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ રોષભેર રજુઆત કરી ગુજરાત વોટર સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના અધિકારીઓની મનમાની   મામલે રજુઆત કરતા રાજ્યમંત્રીએ તાકીદે સ્થળ ઉપર જ અધિકારીઓને બોલાવી પ્રશ્ન ઉકેલવા તાકીદ કરી હતી ઉપરાંત ખેડૂતોની કમિટિ બનાવવા અને ખેડૂતોને થયેલ નુકસાન અને વળતર અંગેનો રિપોર્ટ અધિકારીઓને સુપરત કરવા પણ મંત્રીએ સુચના આપી હતી.

આ ઉપરાંત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ભરતનગર અને લક્ષ્મીનગરના મહેસુલી દફતર અલગ કરવા, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉકટરની કાયમી નિમણૂક કરવા, નેશનલ હાઇવેની ડ્રેનેજની ચોકઅપ બાબતના પ્રશ્ન અને સાદુળકા ગામના ૬૬ કે.વી. વીજ સ્ટેશન ઝડપથી ચાલુ થાય તે બાબતે સંબંધિત અધિકારીઓને સ્થળ પર સુચના આપી કામગીરી વેગવંતી બનાવવા તાકીદ કરી હતી. આ તકે તાલુકા વિકાસ અધિકારી દીપાબેન કોટક, મામલતદાર જી.એચ. રૂપાપરા સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા, કારોબારી ચેરમેન હિરાભાઇ ટમારીયા, અગ્રણી અરવિંદભાઇ વાંસદડીયા સહિત પંચાયતના સદસ્યો અને ખેડૂત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:44 pm IST)