હવેથી જસદણમાં દર ૧૦ દિ'એ નવા બે થી ત્રણ રસ્તાઓ બનશે
જસદણ, તા.૨૮: નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયાના અધ્યક્ષ સ્થાને શહેરની મેઈન બજારમાં આરસીસી રોડ બનાવવાનું ખાતમુહૂર્ત થયું હતું.
પ્રમુખનું પોતાનું એક સપનું હતું કે શહેરના મુખ્ય રોડ એવા મેઈન માર્કેટ રોડને સુંદર બનાવવો છે કે જયાં જસદણ વિછીયા ઉપરાંત આજુબાજુના તાલુકાના અંદાજે ૧૫૦ ગામના લોકોની ખરોદી છે એવા આંબેડકર જીના સ્ટેચ્યુથી ડી એસ વી કે હાઈસ્કુલ સુધીનો રોડ અંદાજે ૭૧ લાખમાં તેમજ જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સ્વર્ગસ્થ વિપુલભાઈ હિરપરાના ઘર પાસે અંદાજે ૭ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપપ્રમુખ દીપભાઈ ગીડા, પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, કારોબારી ચેરમેન પ્રતિનિધિ જે.ડી.ઢોલરીયા, ભાજપના જનસંઘ વખતના આગેવાન અશોકભાઈ મહેતા તેમજ ચંદુભાઈ કચ્છી, ભરતભાઈ ધારૈયા, નિમેષભાઈ શુકલ, પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા, સોનલબેન વસાણી, પૂર્વ કારોબારી ચેરમેન ભાવેશભાઈ વઘાસિયા, ભરતભાઈ જેબલિયા, રાજાભાઈ કુંભાણી, દુર્ગેશભાઇ કુબાવત, વિરોધ પક્ષના નેતા હરેશભાઈ ધાધલ, ગીતેશભાઈ અંબાણી, જયેશભાઈ મિયાત્રા, મનીષભાઈ કાછડીયા, વિનુભાઈ બુટાણી તેમજ નગરપાલિકાના કર્મચારીગણ જે તે વિસ્તારના સ્થાનિક આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે હવેથી જસદણ શહેરમાં દર ૧૦ દિવસે નવા બે થી ત્રણ રોડ બનશે અને ભાજપના મોવડીઓનો આભાર વ્યકત કર્યો હતો.