ઉનાઃ મગર નદીમાં ખેંચી ગયા બાદ માલધારીનો ૪ કલાકે મૃતદેહ મળ્યો
(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૨૮: ગીરગઢડા તાલુકાના થોરડી ગીર ગામે નદી કાંઠે ભેંસ ચરાવતા માલધારી ગોબરભાઇ ભગવાનભાઇ ગોહીલને મગર ઉપાડી જઇ ઉંડા પાણીમાં લઇ જતા સ્થાનીક લોકો વન વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરેલ અને ૪ કલાકની મહેનત બાદ માલધારીનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો.
ગીરગઢડા તાલુકાના થોરડી ગીર ગામની સીમમાં સાંગાવાડી નદીના કાંઠે માલધારી ગોબરભાઇ ભગવાનભાઇ ગોહીલ રે.થોરડી (ગીર) તેમનાં પશુઓને નદી કાંઠે ચરાવતા હતા. ત્યારે એક મહાકાય મગર પાણીમાંથી કિનારે આવી ગોબરભાઇના પગને મોઢામાં લઇ તરાપ મારી ઉંડા પાણીમાં ખેંચીને લઇ જતા આ ઘટના હાજર રહેલ અન્ય લોકો જોઇ જતા તુરંત ગામના લોકોને જાણ કરેલ.
જામવાળા (ગીર) વન વિભાગને જાણ કરતા તેનો સ્ટાફ પણ આવી જઇ અને સ્થાનીક તરવૈયા મારફત તેની શોધખોળ કરી હતી. ત્યાર પછી ૪ કલાકની જહેમત બાદ વન વિભાગ અને તરવૈયા યુવાને ઉંડા પાણીમાંથી ગોબરભાઇ ભગવાનભાઇ ગોહીલ (ઉ.વ. ૬૫, રે. થોરડી (ગીર)ની લાશ શોધી કાઢી હતી અને ગીરગઢડા પોસ્ટમોર્ટમ માટે લાવે છે.