જુનાગઢમાં સફાઇ કામદારના મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા કવાયત
અનાજની કોઠીમાંથી રૂ.૧.૩૭ લાખના દાગીનાની ચોરી
જુનાગઢ તા.ર૭ : જુનાગઢમાં સફાઇ કામદારના મકાનમાંથી થયેલ રૂ.૧.૩૭ લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે કવાયત શરૂ કરી છે.
જુનાગઢમાં જોશીપરા પાસે આવેલ આદિત્યનગર-૧માં રહેતા પ્રતાપ નારણભાઇ બેરડીયાનો પરિવાર મકાનને તાળુ લગાવીને બહારગામ ગયો હતો ત્યારે પાછળથી બંધ મકાનમાં ખાબકેલા તસ્કરો અનાજની કોઠીમાંથી સોનાનો ચેન, હાસડી, ૪ વીંટી, માદરડી અને ચાંદીના સાંકળા સહિત કુલ રૂ.૧.૩૭ લાખની કિંમતના ઘરેણા ચોરી ગયા હતા.
આ અંગે ગઇકાલે બપોરે પ્રતાપ બેરડીયાએ ફરિયાદ કરતા બી-ડીવીઝન પોલીસે તુરત ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ચોરીનો ભોગ બનેલા પ્રતાપભાઇ બેરડીયા કોર્પોરેશનમાં સફાઇ કામદાર છે.
ચોરીના મુળ સુધી પહોંચવા માટે પોલીસે ડોગ, એફએસએલ નિષ્ણાંતોની મદદ લઇ તપાસ આગળ વધારી છે.