ઉપલેટામાં ચક્કાજામ - ૩૨ આગેવાનો - ખેડૂતોની અટકાયત
ઉપલેટા : દેશના પ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનોએ રાષ્ટ્રીય હડતાલ જાહેર કરેલ હતી. અખીલ ભારતીય કિશાન સભા સહિતના ખેડૂત સંગઠનો ત્રણ કાળા કાયદાઓ પાછા ખેંચી લેવાની માગણી કરી રહ્યા છે તે ઉપરાંત સ્વામીનાથન કમિટિની ભલામણ મુજબ ખેતી ઉત્પાદન ખર્ચના દોઢા ભાવ આપો વૃધ્ધ ખેડૂત ખેતમજુરને માસીક રૂ. ૬૦૦૦ પેન્શન આપો તેમજ ટ્રેડ યુનિયનના કામદાર કર્મચારીઓ જાહેર ક્ષેત્રોનું ખાનગીકરણ બંધ કરો. લઘુત્તમ વેતન રૂ. ૨૧૦૦૦ની માગણી મજુરો કરી રહ્યા છે વિગેરે માગણી માટે રાષ્ટ્રીય હડતાલ પાળી હતી. ગુજરાત કિશાનસભાના રાજકોટ જિલ્લા સમિતિએ ઉપલેટામાં સરકારની નીતિનો વિરોધ કરવા ચક્કાજામ સત્યાગ્રહ કરેલ હતો. ચક્કાજામ કરવા જતા ખેડૂતોને રોકતા રાજમાર્ગમાં જ ખેડૂતોએ ચક્કાજામ કરી દીધો હતો. સેંકડો ખેડૂતો ચક્કાજામ કરીને બેઠા હતા તેમાંથી ૩૨ જેટલા ખેડૂતો અને આગેવાનોની અટકાયત કરાઇ હતી. ગુજરાત કિશાનસભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઇ ગજેરા, ખીમભાઇ આલ, દિનેશભાઇ કંટારીયા, કાંતિભાઇ સોલંકી, વિનુભાઇ ઘેરવડા સહિતના આગેવાનો - કાર્યકરોની ધરપકડો થઇ હતી. (અહેવાલ : જગદીશ રાઠોડ, તસ્વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)