સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th October 2020

મોરબીના હસ્તકલા મેળાને સ્થળાંતર કરવા રજૂઆત

મોરબી,તા. ૨૭: મોરબીના મહેન્દ્રસિંહજી L.E. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનાર હસ્ત કલા મેળાને અન્ય ગ્રાઉન્ડમાં સ્થળાંતર કરવા બાબતે ક્રિકેટપ્રેમીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

મહેન્દ્રસિંહજી  L.E. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટીમના ખેલાડીઓ દરરોજ સવારે સારા સ્વાસ્થ માટે ક્રિકેટ રમે છે. તેમજ અન્ય લોકો પણ સારા સ્વાસ્થ માટે સવાર સાંજ વોકીંગ કરવા માટે આવે છે. મોરબી શહેરમાં ફકત આ એક જ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. જેનું મેઇટેન્સ પણ ક્રિકેટ પ્રેમીઓ સ્વખર્ચે કરાવે છે. મોરબી શહેરની ખેલપ્રિય પ્રજા આ એક જ ગ્રાઉન્ડનો સારા સ્વાસ્થ માટે ઉપયોગ કરે છે.

હાલમાં ક્રિકેટપ્રેમીઓને જાણવા મળેલ છે કે આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં હસ્ત કલા મેળો યોજાઇ રહેલ છે. જે આ ક્રિકેટ ગ્રાઉન્ડની અવદશા કરી નાખે છે અને મોરબી શહેરની ખેલપ્રિય પ્રજા તથા વોકિંગમાં આવતી પ્રજા આ અમુલ્ય ક્રિકેટ ગ્રાઉન્ડના લાભથી લગભગ ૨૦-૨૫ દિવસ સુધી વંચિત રહે છે. ત્યારબાદ આ ક્રિકેટ ગ્રાઉન્ડને સારી સ્થીતીમા લાવવા સ્વખર્ચ કરી અઠવાડીયા બાદ આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકાય છે. આથી, આ હસ્ત કલા મેળાને બાજુમાં આવેલ પરશુરામ પોટરીના ખુલ્લા ગ્રાઉન્ડમાં સ્થળાંતર કરવામાં આવે તો આ પ્રશ્નનો સુખદ નિરાકરણ આવે તેમ છે. તેથી, આ હસ્ત કળા મેળાને પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં સ્થળાંતર કરવા અપીલ કરાઈ છે.

(1:06 pm IST)