દશેરા નિમિત્તે દ્વારકાધીશના ગોપાલજી સ્વરૂપની શોભાયાત્રા
દ્વારકાઃ શ્રીકૃષ્ણની નગરી શ્રી દ્વારીકામાં જયારે અખિલ બ્રહ્માંડ નાયક શ્રી હરી બિરાજમાન હોય અને એમના દર્શાવેલા માર્ગ પર જો આપણે ચાલીએ તો પછી જીવનમાં કયું કામ એવું છે જે શકય નથી. આ પરંપરા પ્રમાણે જ શ્રી દ્વારકાધીશના બાળ સ્વરૂપ શ્રી ગોપાલજી મહારાજ સમી પૂજન કરવા વિજયા દશમી દશેરાના પાવન અવસરે દ્વારકાધીશ મંદિરેથી બેન્ડવાજાની સુરાવલીઓ સાથે નીકળેલ ત્યારે પરંપરાગત રીતે જગતમંદિરના મુખ્ય દ્વાર પાસે પોલીસ જવાનો દ્વારા ગોપાલજીની પાલખીયાત્રાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ. ત્યારબાદ ગોપાલજીની પાલખીયાત્રા પૂજન સામગ્રી સાથે જગન્નાથ મંદિરે (ખારા હનુમાન) પૂજન કરવા જવા માટે પ્રસ્થાન કરેલ. આ પૂજન વિધિ ભગવાન શ્રી દ્વારકાધીશ સૂચવેલી છે. શાસ્ત્રોકત કથન મુજબ જયારે મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસ માટે જતા હતા ત્યારે અસ્ત્ર-શસ્ત્ર જે શકિતના પ્રતિકો છે તેને કયાં રાખવા એ સમસ્યા હતી, કારણ કે શકિત મન પડે તેમ ન રાખી શકાય. એટલા માટે શ્રી દ્વારકાધીશજીએ પાંડવોને આજ્ઞા કરી કે આપ સમીના વૃક્ષને આપના અસ્ત્રો-શસ્ત્રો સોંપી દો. જેના કારણે આપની શકિતની વૃધ્ધિ થશે એજ પરંપરા પ્રમાણે આપણે સૌ આપણી શકિત, વ્યાપાર વગેરે સમીને સોંપી તેમને વધારી સશકત કરી ફરી આપણા ઉપયોગમાં લેશું તો પરમકૃપાળુની કૃપાથી આપણે આપણી બધી શકિતઓ વધારે સમૃધ્ધ થશે એવું આપણા મહાભારતનું કથન છે. વિજયા દશમીના પાવન અવસરે શહેરના વેપારીઓ પણ દર વર્ષની જેમ સમી પૂજનમાં જોડાયા હતા અને પરંપરાગત રીતે દર વર્ષની જ ેમ પૂજાવિવિધ કરીને વેપાર-ધંધાને વૃધ્ધિ માટે પસ્તાનું મેળવેલ હતું. (અહેવાલઃ વિનુભાઇ સામાણી-તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)