સાવરકુંડલા : કોરોનાના મૃતકોનાં પરિવારોને ૪ લાખની સહાયના માંગ સાથે કોંગ્રેસ સરકારને ઘેરશે
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૭ : અમદાવાદમાં કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢી કોવિડ મૃતકના પરિવારને રૂ. ૪ લાખની સહાય તેમજ કોરોનામાં મૃત્યુના આંકડા છુપાવવા મૃત્યુના પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય રોગ દર્શાવાયુ છે જે સુધારી મૃત્યનું કારણ કોવિડ-૧૯ કરવા સહિતની માંગ સાથે ઘી કાંટા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસમભામાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સરકારનો વિરોધ કરાશે અને સહાયની માંગ કરશે.
વિધાનસભાનું બે દિવસનું ટુંકુ સત્ર શરૂ થઇ રહ્યું છે. ત્યોર કોરોનાથી રાજયમાં થયેલા મોતને લઇને કોંગ્રેસ આક્રમક વલણમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ કોવિડ મૃતકોના પરિવારને ૪ લાખ ની સહાય આપવા સમગ્ર રાજયમાં ન્યાય યાત્રા યોજી મૃતકોના પરિવારની વિગતો એકઠી કરી છે. ત્યારે કોવિડ મૃતકના પરિવારને ૪ લાખની સહાય આપવાની માંગ સાથે કોંગ્રેસે કાલુપુર, દીરયાપુર અને ઘી કાંટા વિસ્તારમાં ન્યાય યાત્રા યોજીત હતી. જેમાં ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ આ યાત્રામાં હાજર રહેવાના હતા પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા.
કોવિડ ન્યાય યાત્રામાં ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ સહિત ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલા, કોંગ્રેસ શહેર પ્રમુખ ચેતન રાવલ, દરિયાપુરના તમામ મ્યુનિ. કાઉન્સિલરો નિરવ બક્ષી, ઇમ્તિયાઝ શેખ, સમીરા શેખ, માધુરી કલાપી, પૂર્વ કાઉન્સિલર મોનાબેન પ્રજાપતિ, શાહપુરના કાઉન્સિલર અકબર ભટ્ટી, જુનેદ શેખ સહિત પક્ષના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.