સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ કાર્ય માટે પૂ. મોરારીબાપુ દ્વારા પ કરોડનુ અનુદાન

તલગાજરડાના શ્રી પીઠોરીયા હનુમાનજી મંદિરે આયોજીત ઓનલાઇન ''શ્રી માનસ સમરથ'' શ્રી રામકથાના ત્રીજા દિવસે જાહેરાત

રાજકોટ, તા. ર૭ :  પૂ. મોરારીબાપુના વ્યાસાસને તલગાજરડાના શ્રી પીઠોરીયા હનુમાનજી મંદિરે કોરોનાના કારણે ઓનલાઇન શ્રી રામકથાનું શનીવારથી આયોજન કરાયું છે.

શ્રી રામકથાના આજે ત્રીજા દિવસે પૂ. મોરારીબાપુએ અયોધ્યામાં શ્રી રામમંદિર માટે પૂ. મોરારીબાપુ દ્વારા પ કરોડના અનુદાન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

તલગાજરડાના શ્રી પિઠોરીયા હનુમાન મંદિર ખાતે ચાલી રહેલી પૂજય બાપુની ૮૪૬ની રામકથામાં આજે તુલસી જયંતીના પાવન દિવસે પૂજય મોરારીબાપુએ એક મહત્વની જાહેરાત કરી હતી. સમગ્ર હિંદુ સમાજ માટે જે આસ્થાનું કેન્દ્ર છે તેવું એક ભવ્ય શ્રી રામ મંદિર શ્રી અયોધ્યાજી ખાતે નિર્માણ થવા જઇ રહ્યું છે. વિશેષ આનંદની ઘટનાએ એ પણ છે કે આ મંદિરનું પૂજન આગામી પ ઓગસ્ટને દિવસે ભારતના યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીને હસ્તે થવા જઇ રહ્યું છે.

જેનું નિર્માણ સમગ્ર વિશ્વ માટે આનંદદાયક છે એવા શ્રી રામમંદિર માટેશ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ-તલગાજરડા દ્વારા શ્રી હનુમાનજીની પ્રસાદી રૂપે મોરારીબાપુ તરફથી પાંચ કરોડનું અનુદાન આવા મંગલ કાર્ય માટે આપવામાં આવશે. આજની કથામાં આ અંગે જાહેરાત કરતા બાપુએ જણાવ્યું હતું કે શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટનો હર હમેશ રાષ્ટ્રીય કાર્યોમાં પોતાનો સહયોગ આપે છે અને રામકથાના વૈશ્વિક શ્રોતાઓને પણ માંગણી હતી. કે આવા કાર્યમાં સૌને સામેલ કરવામાં આવે. રામકથાના શ્રોતાઓની લાગણીને ધ્યાનમાં લેતાં શ્રી ચિત્રકુટધામ ટ્રસ્ટ તેમજ બાપુની રામકથાના શ્રોતાઓ દ્વારા પાંચ કરોડનું અનુદાન શ્રી રામમંદિર ટ્રસ્ટ ને મકોલવામાં આવશે. વધુ વિગતો માટે શ્રી હરિશ્ચંદ્ર જોશી- મો. ૯૮ર૪ર ૧૦૩૧૦ અને શ્રી નિલેશ વાવડીયા મો. ૯૮ર૪૪ પ૪૪૪૪૬ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

(4:18 pm IST)