એક તરફ અલ્લાહની બંદગી બીજી તરફ મહાદેવ હર...!!
ખંભાળીયાના ૧૦૦% મુસ્લીમ વસતીવાળા કોરા ગામમાં હિન્દુઓના આરાધ્ય દેવ કોટેશ્વર મહાદેવ
ખંભાળીયા તા. ર૭ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તાલુકાના કોટા ગામે નદીના કાંઠે ૧૦૦ ટકા મુસ્લીમ વસતીવાળા આ ગામમાં અત્યંત પ્રાચીન શ્રી કોટેશ્વર મહાદેવનું ભવ્ય શિવ મંદિર આવેલું છે.
ચેક ડેમ ઝરણા, જંગલ જેવા કુદરતી વાતાવરણમાં આવેલા આ શિવ મંદિરની મરામત માટે સ્થાનિક મુસ્લીમ આગેવાનો ગુલમામદ મુસાભાઇ તથા સરપંચ વિ.એ મદદરૂપ થઇને હિન્દુ ભકતો સાથે મળીને આ મંદિરનો જીણોધ્ધાર કર્યો હતો તથા મંદિરમાં ભકતો દ્વારા શ્રાવણ માસમાં પૂજા થાય છે તથા દર્શન માટે ભાવિકો ઉમટે છે.
સવારે એક તરફ મુસ્લીમ બિરાદરો અલ્લાહની બંદગી નમાજ માટે અલ્લાહ ઓ અકબર પોકારતા હોય અને બીજી તરફ આ પ્રાચીન શિવ મંદિરમાં હર હર મહાદેવના નારા સાથે ભકતો પુજા કરતા હોય છે.
ખંભાળીયાના પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઇ કણઝારીયા, પૂર્વ બ્રહ્મ સમાજ પ્રમુખ કાંતિભાઇ મૌખૈયા, ઇશ્વરભાઇ સોલંકી, નીતિન ગણાત્રા, કમલેશ જોશી વિ. નિયમિત પૂજા પાઠ માટે જનારા વ્યકિતઓ છે. મંદિરના પુજારી તથા ભકતો દ્વારા રોજ નૂતન પુજા દર્શન પણ થાય છે.