પોરબંદરઃ માછીમારોની સબસીડી બંધ કરવાના સરકારે ફગાવેલા પ્રસ્તાવને આવકારતુ બોટ એસોસીએશન
પોરબંદર તા. ર૭ :.. જીનીવા સમિટમાં માચ્છીમારોની સબસીડી બંધ કરવા અંગેનાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રસ્તાવને ભારત સરકારે ફગાવી દેતા ભારત સરકારનો આભાર માચ્છીમાર બોટ એસોસીએશને માન્યો છે.
જીનીવા ખાતે મળેલ વિશ્વ આરોગ્ય સંસ્થાની સમિટમાં વિકસીત દેશોનાં દબાણ માં આવી વિશ્વમાં માચ્છીમારોને અપાતી સબસીડી ઓછી અથવા તો બંધ કરવાનો પ્રસ્તાવ મુકતા ભારત સરકારે આ પ્રસ્તાવ અંગે વિરોધ નોંધાવી આ પ્રસ્તાવને ફગાવી દીધેલ છે.
ભારત સરકારે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવેલ કે ભારત આઠ હજાર કીલો મીટરનો સમુદ્ર કિનારો ધરાવે છે અને લગભગ બે કરોડ જેટલા માચ્છીમારો માચ્છીમારીના ધંધા સાથે સંકળાયેલા છે. ભારતમાં ટ્રેડીશનલ ફીશીંગ થાય છે. એટલું જ નહી ભારતનાં માચ્છીમારો પૈકી મોટા ભાગના માચ્છીમારો ગરીબીમાં જીવી રહ્યા છે. આથી જો માચ્છીમારોને સબસીડી ઓછી અથવા તો બંધ કરવામાં આવે તો તેઓની રોજીરોટી ઉપર અસર પડી શકે તેમ છે. એટલું જ નહી પરંતુ ભારતે તો માચ્છેમારોની સબસીડી આગામી રપ વર્ષ સુધી ચાલુ રાખવાના પક્ષમાં છીએ તેવુ જણાવેલ હતું.
માચ્છીમારો માટે મજબુત પક્ષ રાખવા બદલ માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઇ પાંજરી તેમજ ભારતનાં સમગ્ર માચ્છીમારો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, વિદેશ મંત્રી પિયુષ ગોયેલ તેમજ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ નેતાશ્રીઓ, પદાઅધિકારીશ્રીઓનો અભિનંદન પાઠવી ભારત સરકારશ્રીનો હૃદય પૂર્વક આભાર માનીને આવકારેલ છે.