મોરબીમાં રાજ્યમંત્રી મેરજાએ આંગળી પકડી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૭ `: પ્રાથમિક શાળાઓમાં ૨૦૭ અને આંગણવાડીઓમાં ૮૯ બાળકોને પ્રવેશ અપાયો
રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના ઇન્દીરાનગર, મહેન્દ્રનગર તેમજ ઘુંટુ પ્રાથમિક શાળામાં બાળકોને વ્હાલભેર આંગળી પકડી શાળામાં પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરી હતી.
વિદ્યાના વધામણાં તેમજ માતા સરસ્વતીના મંદિર એવા શાળામાં ભૂલકાઓને વધાવીને પ્રવેશ અપાવવાનો અનેરો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ. સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના અનુસંધાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના ઇન્દીરાનગર, મહેન્દ્રનગર તેમજ ઘુંટ ુ પ્રાથમિક શાળાઓમાં બાલુડાઓને કાખમાં બેસાડી તેમજ આંગળી પકડીને ઉષ્માભેર શાળાના પટાંગણમાં પ્રવેશ કરાવ્યો હતો.
જિલ્લા કલેકટર જે.બી.પટેલે પણ ગામડાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને બાળકો શિક્ષિત બની ઉત્તમ ભાવિ નાગરિકો બને તે તરફના સહિયારા પ્રયાસ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી.આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ બાળકોની સાથે બાળક બની તેમની સાથે બેસીને બાળકોની જ કાલીઘેલી ભાષામાં વાતચીત કરી હતી. ઉપરાંત આગળ જતા તેમણે શું બનવું છે તેવી મહત્વકાંક્ષાઓની પણ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમનો હર્ષ ઉલ્લાસ બાળકોના ચહેરા પર વર્તાઈ રહ્યો હતો.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની આ ઉજવણીમાં ઇન્દીરાનગર પ્રાથમિક શાળામાં ૮૩ બાળકો ને આંગણવાડીમાં ૧૬ બાળકો, મહેન્દ્રનગર પ્રાથમિક શાળામાં ૩૯ બાળકો અને આંગણવાડીમાં ૩૩ બાળકો, ઘુંટુ પ્રાથમિક શાળામાં ૮૫ બાળકો અને આંગણવાડીમાં ૪૦ બાળકો મળી પ્રાથમિક શાળામાં કુલ ૨૦૭ તેમજ આંગણવાડી માં ૮૯ વિદ્યાર્થીઓને આ તકે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે મહાનુભાવોએ પ્રવેશપાત્ર બાળકોને સ્કુલ બેગ તેમજ શિક્ષણ કીટ આપીને શાળામા પ્રવેશ કરાવ્યો હતો તેમજ ગત વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાઓના દાતાઓને પણ આ તકે મહાનુભાવોએ નવાજ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર જે.બી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, મોરબી -ાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી તેમજ અગ્રણી અરવિંદભાઈ વાંસદડિયા, રાજાભાઈ પરમાર, જયેશભાઈ કાલરીયા, ભાવેશભાઈ પરમાર, સુરેશભાઈ શિહોરા, ભાવનાબેન શેરસીયા, જયંતીભાઈ શેરસીયા, મનસુખભાઈ આદ્રોજા તેમજ વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીગણ, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.