ધાંધલપુરમાં અન્નક્ષેત્રનો પ્રસાદરૂપે ભોજન આરોગતા ૧૧ ગ્રામજનોને અસર
વઢવાણ તા. ર૭ :.. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધાંધલપુર ગામે રામદેવપીર મંદિરના અન્નક્ષેત્રમાં પદયાત્રીઓ માટે રહેવાની અને ભોજન વ્યવસ્થાના કારણે અનેક હરીભકતો મહાપ્રસાદનો લાભ મેળવે છે.
સાયલા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ તા. રર ના રોજ પદયાત્રીઓ માટે દાળ, ભાત, શાક, શીરા સહિતનું જમણ બનાવાયુ હતું. અન્નક્ષેત્રમાં પદયાત્રીઓનો કોઇ અંદાજ ન હોવાના કારણે વધેલી રસોઇ પ્રસાદીના સ્વરૂપે ગામ લોકોને આપવામાં આવી હતી. જે આરોગતા ૧૧ લોકોની તબીયતને અસર થતા ફુડ પોઇઝનના કારણે ઝાડા ઉલટીના અસર થતા પરિવારજનોમાં દોડધામ મચી હતી અને તમામ અસરગ્રસ્તોને ચોટીલા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતાં. અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલે લઇ જવાયા હતાં. આ બાબતે સાયલા પોલીસને જાણ થતા વધુ તપાસ હાથ ધરી હતી.