હવે ચોટીલા, માધવપુર અને માંગરોળમાં પ્રથમ વાર સિંહની વસ્તીગણતરી કરાશે
સાવજોએ સીમાડા ઓળંગતા આ વખતે નવા વિસ્તારોનો પણ ઉમેરો કરાશે
અમદાવાદ : એશિયાટિક સિંહોની વસ્તીગણતરી આગામી મે માસમાં યોજાવાની છે. આ માટેની તૈયારીઓ વનવિભાગે શરૂ પણ કરી દીધી છે. દરમિયાન છેક પીસીસીએફથી લઈને બીટ ગાર્ડ સ્તરે જુદી-જુદી કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે એમાં નવા વિસ્તારોનો ઉમેરો પણ થનાર છે
તાજેતરમાં જ સિંહો રાજકોટના સીમાડા ઓળંગીને ચોટીલા સુધી પહોંચી ગયા હતા. આથી આ વખતે સિંહોની વસ્તીગણતરીમાં ચોટીલાનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન માધવપુર (ઘેડ)થી લઈ માંગરોળ પંથકમાં પણ વારંવાર સિંહો જોવા મળ્યા છે. માણાવદર તાલુકામાં પણ માધવપુર પહોંચેલા સિંહોના ગ્રુપે રાતવાસો કર્યો હતો. ત્યાં સુધીમાં સિંહોએ વળી નવા વિસ્તારમાં પ્રસ્થાન કર્યું હશે તો એનો પણ વનવિભાગે સમાવેશ કરવો પડશે. આ વખતે અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ નવા ડિવિઝનો અસ્તિત્વમાં આવી ગયાં છે. તાજેતરમાં છેક પીપાવાવ પોર્ટ સુધી પણ સાવજો પહોંચી ગયા છે