ચોટીલાના શેખલીયામાં માનસીક દિવ્યાંગ યુવતિ ઉપર સામુહિક દુષ્કર્મ ગુજારનાર કૌટુંબીક દાદા સહિત ૩ ઢગા ઝડપાયા
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૭ : ચોટીલા તાલુકાના શેખલીયા ગામે માનસીક દિવ્યાંગ યુવતી પર સામુહિક બળાત્કાર ગુજારનાર કૌટુંબીક દાદા સહીત ત્રણેય ઢગાઓની પોલીસે અટક કરી ડી.એન.એ ટેસ્ટ કરાવી કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત એવી છે કે, ચોટીલા તાલુકાના શેખલીયા ગામે રહેતા પરિવારની માનસીક દિવ્યાંગ યુવતી ઉપર ત્રણ શખ્સોએ શાળામાં લઈ જઈ નાસ્તો ખવડાવવાની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જેમા ૬૫ વર્ષનાં કાનાભાઈ રામભાઈ બાવળીયા, ૪૫ વર્ષના માધાભાઈ રાણાભાઈ ગોબીયા અને ૫૫ વર્ષના આંબાભાઈ રામભાઈ પરમાર નામના ત્રણેય ઢગાઓને ઝડપી લઈ ડી.એન.એ ટેસ્ટ, કોરોના ટેસ્ટ કરાવી કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરાયેલ છે. ત્રણેય આરોપીમાં એક આરોપી ભોગ બનનાર યુવતીનો કૌટુંબીક દાદા થતા હોવાનું જાણવા મળે છે.આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. ગેંગરેપના કેસમાં બે આધેડ પણ સામેલ હોવાનું સામે આવતા આરોપીઓ સામે ફિટકારની લાગણી વરસી રહી છે.