જસદણ પંથકમાં એક સાથે ૩૦ કોરોના કેસ આવતા લોકોમાં ફફડાટ
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૭ : જસદણ શહેર અને તાલુકામાં ગઈકાલે એક સાથે કોરોનાના ત્રીસ જેટલા કેસ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જસદણ શહેરમાં ૧૫ કેસ તેમજ જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ કેસ મળીને કુલ ૩૦ કેસ ફકત ગઇકાલે જાહેર થયા છે આ ઉપરાંત છેલ્લા સાત દિવસ દરમિયાન કુલ ૨૨ કેસ આવ્યા હતા.
આમ જસદણ પંથકમાં કુલ એકિટવ કેસ બાવન થી વધારે થયા છે. જસદણ શહેરમાં લાતી પ્લોટ, જલારામ મંદિર પાસે, આંબેડકર નગર, જલારામ સોસાયટી, ભાદર રોડ, વડલાવાળી, ચિતલિયા રોડ, લોહિયા નગર, બાવન ચોક, હરિદર્શન સોસાયટી સહિતના વિસ્તારોમાં કોરોનાનાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
જયારે જસદણ તાલુકાના સાણથલીમાં ત્રણ કેસ, કાનપર ગામે ત્રણ કેસ, વડોદ ગામે ત્રણ કેસ, કડુકા ગામમાં ત્રણ કેસ તેમજ આટકોટ, મેઘપર, પાંચવડા, શિવરાજપુર, બાખલવડ સહિતના ગામોમાંના કેસ નોંધાયા છે. જસદણ શહેર અને તાલુકામાં વાયરલ ઈન્ફેકશન, શરદી, ઉધરસ સહિતના મોટી સંખ્યામાં દર્દીઓ છે. જો આવા દર્દીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવે તો જસદણમાં કોરોનાનો બ્લાસ્ટ થાય તેવી શકયતા છે.