સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

ખોડલધામ મંદિરે રાષ્ટ્રભકિત : ૧૫૫૧ ફુટ લાંબો રાષ્ટ્રધ્વજ લહેરાયો

કોરોના વોરીયર્સ સન્માનના અવસરે ગાંધીનગરના રાધે રાધે પરિવારે દેશપ્રેમ વરસાવ્યો : મંદિર પર આટલો લાંબો ધ્વજ ફરકાવનાર ખોડલધામ વિશ્વનું પ્રથમ મંદિર બન્યુ

રાજકોટ તા. ૨૭ : પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિશ્વપ્રસિદ્ઘ શ્રી ખોડલધામ મંદિર ખાતે કોરોના વોરિયર્સના સન્માનમાં સૌથી લાંબો ૧૫૫૧ ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

ગાંધીનગરના રાધે રાધે પરિવારના કાર્યકરો દ્વારા ૨૬ મી જાન્યુઆરી નિમિતે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં ૧૫૫૧ ફૂટ લંબાઈ અને ૧૦ ફૂટ પહોળાઈનો રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રભકિત અદા કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વ નિમિતે મા ખોડલનો પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં અનેરૂ સુશોભન કરવામાં આવ્યું હતું.

૨૬મી જાન્યુઆરીના દિવસે કોરોના વોરિયર્સના સન્માનમાં સવારે ૯ કલાકે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આવેલા મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ૩૦૦ જેટલા કાર્યકરો મુખ્ય પ્રવેશદ્વારથી રાષ્ટ્રધ્વજ લઈને દેશભકિતની ધૂન સાથે મંદિર સુધી પહોંચ્યા હતા. મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ રાષ્ટ્રધ્વજ પરત મુખ્ય પ્રવેશદ્વાર સુધી લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. મંદિરે દર્શન કરવા આવેલા ભકતોએ પણ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

     પ્રજાસત્તાક દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં રાધે રાધે પરિવારના સભ્યો સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પણ જોડાયું હતું.અને સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવીને કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન આપ્યું હતું.

શ્રી ખોડલધામ મંદિર ખાતે ફરકાવવામાં આવેલો આ રાષ્ટ્રધ્વજ ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ગણાવાયો હતો. શ્રી ખોડલધામ વિશ્વનું પ્રથમ એવું મંદિર બન્યું છે જયાં સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હોય. વિશ્વના મંદિરોના ઇતિહાસમાં કયારેય પણ આટલી લંબાઈ અને પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નથી.

૨૦૧૭ માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીમંડળે નિર્ણય લઈને શ્રી ખોડલધામ મંદિરને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જયાં ધર્મ ધજાની સાથે સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો છે. શ્રી ખોડલધામ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર દરરોજ માન સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક સાથે સૌથી વધુ લોકોએ રાષ્ટ્રગાન ગાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જે આજ દિન સુધી અકબંધ છે. આમ આ મંદિરે ધર્મની સાથે રાષ્ટ્રભકિત પણ થઇ રહી છે.

(12:16 pm IST)