સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

સૌના પુરૂષાર્થથી કોરોના રિકવરી રેટ ૯૬ ટકાથી વધ્યો : આર.સી.ફળદુ

સુરેન્દ્રનગરમાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી : કૃષિમંત્રીના હસ્તે ધ્વજવંદન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૭ : ૭૨ મા પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી અન્વયે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ અને માર્ચપાસ્ટની સલામી ઝીલી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ અને પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા સાથે જોડાયા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રીએ કોરોનાના કપરા સમયમાં એક બની સમગ્ર દેશબાંધવોએ આપેલી લડતને બિરદાવતાં જણાવ્યું હતુ કે, આજે ફરી એકવાર ગુજરાત સહિત સમગ્ર ભારતવર્ષએ તેની એકતાની શકિતને દુનિયા સામે પ્રસ્તુત કરી છે. તેમણે ઉમેર્યું હતુ કે, કોરોના નામનો અદ્રશ્ય દુશ્મન ભારત સહિત આખા વિશ્વને એનો ગુલામ બનાવવા માટે મથી રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાત અને દેશે એક બનીને એની સામે મક્કમ મુકાબલો કર્યો છે. જેના પરિણામે આજે મૃત્યુદરનું પ્રમાણ સતત ઘટતું જાય છે. કોરોનાનો શિકાર બનેલા આપણા ગુજરાતી બાંધવો ફરી પાછા સ્વસ્થ થઈ રહ્યા છે. આપણા સહુના સહિયારા પુરૂષાર્થથી ગુજરાતનો રીકવરી રેટ આજે ૯૬ ટકાથી પણ વધુ થયો છે.

ભારતની આઝાદીની લડાઈમાં ઝાલાવાડના યોગદાનને બિરદાવતાં તેમણે ઉમેર્યું હતુ કે, સ્વાતંત્ર્યની લડતમાં સુરેન્દ્રનગર જિલ્લાનું યોગદાન પણ બહુમૂલ્ય રહયું છે. મહાત્મા ગાંધીજીની એક હાકલે આ પાણીદાર ઝાલાવાડના ખમીરવંતા લોકોએ સ્વાતંત્ર્યની લડાઈ માટે પ્રેર્યા હતા. જેના પરિણામે ગુજરાત - ભારતમાં આઝાદી માટે થયેલા અનેક સત્યાગ્રહોમાં ઝાલાવાડવાસીઓ જોડાઈને મા ભોમ માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધુ હતુ. સ્વરાજ પહેલાં દેશી રાજયો સામેના પ્રજાકિય સત્યાગ્રહની લડતો તથા મહાત્મા ગાંધીજીની રાહબરી નીચેની સ્વરાજની રાષ્ટ્રીય લડતમાં ઝાલાવાડના અનેક સપૂતોએ ભાગ લીધો હતો. ઝાલાવાડ વઢવાણના ત્યાગવીર અને દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની ફુલચંદભાઈ શાહના નેતૃત્વ નીચે સત્યાગ્રહ દળ પણ રચાયું હતું. તે સમયે વઢવાણ જોરાવરનગર વચ્ચે આવેલી ઐતિહાસિક ઘરશાળા સંસ્થા સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિકોના કેન્દ્ર સમી હતી.

આ તકે કૃષિ મંત્રીશ્રીના હસ્તે કોરાના સમયમાં સારી કામગીરી કરનાર હોસ્પિટલ - વ્યકિતઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે જવાહર ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડા, અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોષી, શંકરભાઈ વેગડ, ધનરાજભાઈ કૈલા સહિત શહેરીજનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહયા હતાં.

(10:18 am IST)