ખંભાળિયાઃ ડ્રગ્સ પ્રકરણમાં પોલીસ માહિતી ન આપતી હોવાથી પત્રકારોમાં ઉઠતો રોષ
મીડીયાની અહેમીયતતા સમજી ગૃહમંત્રી, રેંજ આઇજી સહિતના ઉચ્ચ અધિકારીઓ ફોન રિસીવ કરી પ્રાથમિક વિગત આપે છે. પણ જિલ્લાના પોલીસ અધિકારીઓને માહિતી આપવામાં રસ જ ન હોય તેવો ઘાટ
રાજકોટ તા. રપ : ખંભાળિયાના સલાયામાંથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણમાં દ્વારકા પોલીસની કામગીરી કાબીલેદાદ ચોકકસપણે કહી શકાય છે. પરંતુ ડ્રગ્સ પ્રકરણમાં તપાસ અંગેની માહિતી પત્રકારોને આપવામાં પોલીસ અધિકારીઓની ફોન ન ઉપાડવાની વિચીત્ર નિતિ સામે પત્રકારોમાં રોષ ઉઠયો છે. પત્રકારોએ સામુહિક રીતે એવું જણાવ્યું છે કે માત્ર પોલીસને મીડીયામાં છવાઇ જવાની જરૂર હોય ત્યારે પત્રકાર પરીષદ કરી જુજ માહિતી જ આપવામાં આવે છે એ પછી રીમાન્ડ દરમિયાન આરોપીઓની પુછપરછ સહિતની બાબતે જયારે વિગત મેળવવા ચોકકસ શાખાના અધિકારીઓને ફોન કરવામાં આવે છે ત્યારે ફોન નંબર જોઇ આંખ મીચામણા કરી લેતા હોય તેમ રિસીવ કરવામાં આવતા ન હોવાની ફરીયાદો ઉઠી છે. અત્રે એ જણાવવાનું કે, આટલા મોટા કેસમાં ગૃહમંત્રી અને રેંજ આઇજી પણ મિડીયાના ફોન રીસીવ કરી જરૂરી માહિતી પુરી પાડે છે તો જિલ્લાના ચોકકસ શાખાના પોલીસ અધિકારીઓ ગૃહમંત્રી અને રેંજ આઇ જીથી પણ વધુ હોવાનું પુરવાર કરી રહ્યા છે.