જાફરાબાદ દરિયામાં માછીમારનું દરિયામાં ડુબતા મોત : ૩ માછીમારોએ બચાવવા દરિયામાં ઝંપલાવ્યું
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૬ : અમરેલી જિલ્લામાં જાફરાબાદના દરિયામાં મધદરિયે ૩૦ નોટિકલ માઇલ દૂર અકસ્માતની ઘટના બની છે. અહીં ૮ જેટલા ખલાસી માટેલધરા નામની બોટ લઇને માછીમારી કરતા હતાં તે દરમ્યાન માછીમારોની જાળમાં મિતેશભાઇ શ્યામભાઇ સોલંકી ઉ.ર૧ જાફરાબાદના રહેવાસીનો પગ ફસાયો અને દરિયામાં ડૂબ્યો ત્યાર બાદ અન્ય બોટમાં સવાર માછીમારો દ્વારા શોધખોળ ચાલી, પરંતુ અંદર ડુબી જવાના દૃશ્યો જોઇને ૩ જેટલા ખલાસીઓ પાણી કૂદી પડયા હતાં અને મૃતક જાળમાં હોવાને કારણે ફરી ખલાસીઓ બોટમાં આવી ગયા એક સાથે મળી જાળ ખેંચી યુવકને બોટમાં ચડાવ્યો, પરંતુ પાણી પી જવાના કારણે તેમનું થોડીવારમાં દરિયામાં મોત નિપજયું હતું ત્યારબાદ મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
આ સમાચારથી જાફરાબાદ માછીમારોમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.
આ અંગે જાફરાબાદ બોટ એશો.ના પ્રમુખ કનૈયાલાલ સોલંકી સતત સંપર્કમાં રહ્યા અને અંતમાં જણાવ્યું હતું ખુબ દુઃખદ ઘટના બની છે.