સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

જૂનાગઢ : ચેક રિટર્નના ચાર ફોજદારી કેસોમાં આરોપીનો નિર્દોષ છુટકારો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૬ : જૂનાગઢ તેમજ ભેંસાણના ન્યાયાધીશ દ્વારા ભાગ્યેજ ઉપસ્થિત થતા કાનુની મુદ્દાઓ ઉપર શકવર્તી અને કાયદાઓના તમામ પાસાઓની ચર્ચા કરી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ની ફરીયાદોમાં એક જ પક્ષકારો વચ્ચેની ચાર ફરીયાદોમાં ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે.

આ ચકચારી કેસોમાં રહેલ હકીકત એવી છે કે, ભેંસાણના રહીશ નીતીનભાઇ લાલજીભાઇ જોશી જે એમ.એ.બી.એડ તથા પીજીડીસીએની ડીગ્રી ધરાવતા અને ભેંસાણની ખાનગી શાળામાં રૂ.૫૦૦૦ના પગારથી પાંચ વર્ષથી નોકરી કરતા પોતાનુ કુટુંબનું ગુજરાન માંડ માંડ થતુ. રાજકોટના વિપુલ મહેતાએ તેમને સરકારી પ્રાયમરી શાળામાં તેમના ઓળખીતા નિરવ ભુવા રહે. વડોદરા મારફત નોકરી અપાવી દેશે અને રૂ.૭,૫૦,૦૦૦ અંકે સાત લાખ રૂપિયા ઉપલા અધિકારીને આપવા પડશે તેવુ જણાવી તેના ઓળખીતા સુરતના નીતેશ માયાણી તથા નિરવ ભુવાને રૂ. ૭,૨૦,૦૦૦ આપેલા. ફરીયાદી નીતીન જોશીને લાંબો સમય પસાર થવા છતા નોકરી ન મળતા આ રકમ પરમ મેળવવા દબાણ કરતા આરોપીએ ચાર ચેકો અન્ય દ્વારા આપ્યા. આ ચેકો પરત થતા ચાર ચેક રિટર્ન થયાની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદો કરેલી.

ભેંસાણની કોર્ટ તથા જૂનાગઢની કોર્ટમાં આરોપી તરફે જૂનાગઢના એડવોકેટ ઉદય ડી.રૂપારેલીયા, ડી.ડી.રૂપારેલીયા તેમજ યુવા એડવોકેટ પંકજ ગેવરીયા (વડાલવાળા) એ આરોપી તરફે રોકાઇ ફરીયાદીની ગહન ઉલટ તપાસ કરી કોર્ટ  સમક્ષ પક્ષકારો વચ્ચેના લેતીદેતીના વ્યવહારો કાયદેસરના ન હોય, ફરીયાદી આ રકમ કાયદેસર વસુલ મેળવવા હકકદાર નથી. ફરીયાદીની ઉલટતપાસમાં આવડી મોટી રકમ એકી આંકડે આપવા સક્ષમ ન હોય તથા આરોપીએ ચાર ચેકો ફરીયાદીને હેન્ડઓવર કર્યાનુ કે આરોપીને આવી રકમ એકી આંકડે આપેલ હોવાનુ તેની સઘન ઉલટતપાસ જોતા પુરવાર થયેલ નહી. ચેકોમાં સહી અંગે પણ તકરાર ઉઠાવેલ. આ ઉપરાંત ફરીયાદીની ઉલટ તપાસમાં ઘણા વિરોધાભાસો નીકળી આવેલા.

કરાર ધારા મુજબ કાનુની વસુલાતપાત્ર લ્હેણુ હોવાનુ પુરવાર થયેલ નહી. ચારેય ચેકોમાં સહીઓ અલગ અલગ હતી. નોકરી માટે સરકારી કે કોઇ અધિકૃત જાહેરાત વગર તેમા એપ્લીકેશન આપ્યા વગર કે ઇન્ટરવ્યુ આપ્યા વિના નોકરી મેળવવા લાંચના પંસા આપી નોકરી મેળવવા ભ્રષ્ટાચાર કરવાના કૃત્યને ફરીયાદીએ સાથ આપવા કૃત્ય કરેલ હોય, કોર્ટે ફરીયાદીનો વ્યવહાર કાનુની ન હોવાનો તથા અન્ય મુદ્દે વિસ્તૃત દલીલો આરોપી તરફે ઉઠાવવામાં આવેલી. ફરીયાદીનો પુરાવો ફેંકી દઇ આરોપીને ભેંસાણ તથા જૂનાગઢની કોર્ટે દોષમુકત કરેલ. આરોપી તરફે જૂનાગઢના યુવા ધારાશાસ્ત્રી એડવોકેટ ઉદય ડી.રૂપારેલીયા, પંકજ ગેવરીયા તથા સીનીયર ધારાશાસ્ત્રી ડી.ડી.રૂપારેલીયા રોકાયા હતા.

(11:38 am IST)