સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

દ્વારકામાં શાક માર્કેટ ગ્રુપ દ્વારા રઘુવંશી પરિવારોને વિનામુલ્યે દવાની સહાય

તસ્વીરમાં રઘુવંશી પરિવારોને વિનામુલ્યે દવા વિતરણ માટેની કામગીરી થતી નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા) (પ-પ)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ર૬ :.. દ્વારકાના શાક માર્કેટ ગ્રુપના રઘુવંશી વેપારી સમાજ દ્વારા શહેરના જરૂરીયાત મુજબના રઘુવંશી સમાજને વિનામુલ્યે મેડીકલ સહાય હેતુ લક્ષી ઉમદા સેવાનો પ્રારંભ દિવાળીના તહેવારો બાદ જલારામ  જયંતિના ઉત્સવ સાથે કરવામાં આવ્યો  છે. સમાજના આગેવાનોના હસ્તે રઘુવંશી પરિવારોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે.

શાક માર્કેટ ગ્રુપના રઘુવંશી વેપારી સમાજના અગ્રણી જેન્તીભાઇ પાબારીના જણાવ્યા પ્રમાણે શહેરના ગરીબ રઘુવંશી પરિવારોને કાયમી ધોરણે મેડીકલ સેવા શરૂ કરવામાં આવી છે. જે મુજબ પરિવારોને દ્વારક શહેરના રઘુવંશી તબીબો નિતીન બારાઇ, ધવલ બથીયા, વિનોદ બથીયા, દ્વારા તપાસ કરી દવની ભલામણ કરવા તથા મેડીકલ ચેકીંગ માટે નિયુકત કરવામાં આવ્યા છે જેઓ આ સેવાના અભિયાનને પુરતો સહયોગ આપશે.

રાજ ફાર્માશીસ, આનંદ મેડીકલ સ્ટોર્સ ત્થા એવન મેડીકલ સ્ટોર્સ ઉપર થી વિનામુલ્યે દવાનું વિતરણ રઘુવંશી સમાજના જે પરિવારોને ઓળખ કાર્ડ, શાક મારકેટ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યા છે તેઓ દવા મેળવી શકશે.

અત્રે એ નોંધનીય છે કે શાક માર્કેટ ચોકના રઘુવંશી ગ્રુપના વેપારી સમાજ દ્વારા  શરૂ કરેલ આ સેવા યજ્ઞના ભગીરથ કાર્યમાં મુળ દ્વારકાના અને હાલ લંડનમાં વ્યવસાય કરતા રઘુવંશી નંદલાલ માવાણી દ્વારા રૂપીયા એકાવન હજારની રાહત કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકા રઘુવંશી સમાજના બચુભાઇ કરશનદાસ, ઇશ્વરભાઇ ઝાપટીયા વિગેરેએ પણ સહાય અર્પણ કરેલ છે સેવાના આ અભિયાનમાં કોઇપણ રઘુવંશી સમાજના ભાઇઓ દવાની સહાય કરવામાં માંગતા હોઇ તેઓએ જેન્તીભાઇ પાબારી મો. નં. ૯૯ર૪૪ ર૪૪૯૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

શાક માર્કેટ ગ્રુપ દ્વારા શહેરના રઘુવંશી સમાજ પ્રત્યેની ઉત્તમ સેવા હંમેશા સદા બહાર રહી છે જલારામ જયંતિ ઉત્સવ, શ્રીમદ્ ભાગવત સપ્તાહ સહિતના અનેક આદર્શ કાર્યોમાં તત્પર રહ્યા હોય છે.

(11:29 am IST)