સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

હળવદ પંથકમાં વેરા વુસલાત ઝુંબેશમાં નિષ્ક્રિય ૫૬ તલાટી મંત્રીઓને નોટિસ ફટકારાઈ

ટીડીઓએ મીટીંગમાં ગેરહાજર રહેવા બાદ ૫ અને વેરા વસુલાતમાં ઉદાસીન વલણ દાખવતા ૫૧ તલાટીઓને નોટિસ ફટકારતા ખળભળાટ

(દીપક જાની દ્વારા )હળવદ,તા. ૨૬: તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં વેરા વસુલાતની કામગીરીમાં તલાટી મંત્રીઓને નિષ્ક્રિય રહેવાનું ભારે પડ્યું છે.જેમાં ટીડીઓએ મીટીંગમાં ગેરહાજર રહેવા બાદ ૫ અને વેરા વસુલાતમાં ઉદાસીન વલણ દાખવતા ૫૧ તલાટીઓ સામે કાર્યવાહી કરી કુલ ૫૬ તલાટી મંત્રીઓને નોટિસ ફટકારી હતી.

હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે વેરા વસુલાત કામગીરી કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વેરા વસુલાત ઝુંબેશ ચાલી રહી છે.પણ આ વેરા વસુલાતની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે હળવદ તાલુકામાં પંચાયતમાં જુદી જુદી તારીખે મીટીંગ યોજાતી હોય છે.પણ આ મીટીંગોમાં પાંચ જેટલી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ કોઈપણ કારણ દર્શાવ્યા વગર ગેરહાજર રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતું.આ ઉપરાંત ૫૧ જેટલા તલાટી મંત્રીઓની વેરા વસુલાતની નબળી કામગીરી આખે ઉડીને વળગી હતી.જેના પગલે આ બેદરકારી સબબ હાલ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ દ્વારા હળવદની ૫૬ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓને કારણ દર્શર્ક નોટિસ ફટકારવામાં આવી છે.આ નોટિસમાં ૫૬ તલાટીઓને વહેલી તકે વેરા વસુલાતની કામગીરી યોગ્ય રીતે કરવાની તાકીદ કરવામાં આવી છે.

(9:48 am IST)