કાલાવડના ધુનધોરાજી રોડ પર બે બાઇક અથડાતાં મેવાસાના ગુલમહમદભાઇ હાલાણીનું મોતઃ પુત્રને ઇજા
રાજકોટ તા. ૨૬: કાલાવડના ધૂનધોરાજી રોડ પર બે બાઇક સામ સામે અથડાતાં હરિપર મેવાસાના મુસ્લિમ આધેડ અને પુત્ર ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. જેમાં પિતાનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ હરિપર મેવાસા ગામે રહેતાં અને ખેતી તથા પશુપાલનનું કામ કરતાં ગુલમહમદભાઇ નુરમહમદભાઇ હાલાણી (ઉ.વ.૪૫) બાઇક પર પુત્ર સોહમ (ઉ.૧૩)ને બેસાડી ભેંસો દોહવા ગયા હતાં. દૂધ લઇને ધુનધોરાજીથી હરિપર રોડ પર પરત આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં સામેથી બાઇક અથડાતાં પિતા-પુત્ર બંને રોડ પર ફેંકાઇ જતાં ઇજાઓ થઇ હતી.
સોહમને સામાન્ય ઇજાઓ થઇ હતી. જ્યારે પિતા ગુલમહમદભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. તેઓ ચાર ભાઇમાં વચેટ હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે.