પોરબંદર જિ. પં.ના પૂર્વ પ્રમુખ અને ભાજપના મહિલા અગ્રણી રાણીબેન કેશવાલાનું અવસાન
કોંગ્રેસમાં જોડાઇને રાજકારણમાં પ્રવેશ કરેલ અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતાં: સ્વ રક્ષણ માટે જિલ્લામાં હથિયારનું લાયસન્સ મેળવનાર તેઓ પ્રથમ મહિલા હતાં
(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬: જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના મહિલા અગ્રણી રાણીબેન કેશવાલાનું બીમારીને કારણે અવસાન થયું છે.
સ્વ. રાણીબેન કેશવાલા સૌ પ્રથમ કોંગ્રેસમાં જોડાઇને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ત્યારપછી તેઓ ભાજપમાં જોડાયાં હતાં મુળ પોરબંદરના વિસાવાડા (મૂળ દ્વારકા) ના વતની છે જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઇ કેશવાલાના તેઓ ભત્રીજા વહુ થતાં હતાં. પોરબંદરમાં કોંગ્રેસનો પાયો મજબૂત બનાવવામાં રાણીબેનનો મહત્વનો ફાળો હતો. ભાજપમાં જોડાયા બાદ જિલ્લામાં વિકાસ કાર્યોમાં તેમનું અનોખું યોગદાન રહેલ હતું.
જિલ્લામાં સ્વરક્ષણ માટે હથિયારનું લાયસન્સ મેળવનાર રાણીબેન પ્રથમ મહિલા હતાં તેઓ સારા વકતા હતા અને હંમેશા તેઓ પોતાના મહેર સમાજનો પરંપરાગત પોશાક પહેરતા હતાં તેમના અવસાનથી મહેર સમાજમાં શોક વ્યાપી ગયેલ હતો.