હળવદના માનસરના ખેડૂતોએ શેરડીનું વેચાણ ના થતા પાકને સળગાવી નાખ્યો : એક કરોડથી વધારે નુકસાન થયાનો ખેડૂતોનો દાવો
ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે શેરડીનું વેચાણ થયું નથી અને તૈયાર પાક જેમના તેમ પડયા રહ્યા હોય સળગાવી નાખ્યો
હળવદ - મોરબી તા. ૨૬ : કોરોના મહામારીને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને પોતાના તૈયાર પાક વેચાયા ના હોય જેથી ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યા છે આવી જ સ્થિતિ હળવદના માનસર ગામના ખેડૂતોની છે જેને શેરડીનું વેચાણ ના થતા શેરડીના પાકને સળગાવી નાખવાનો વારો આવ્યો છે.
હળવદના માનસર ગામના ખેડૂતો દર વર્ષે શેરડીનું વાવેતર કરતા હોય છે જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે શેરડીનું વેચાણ થયું નથી અને ખેડૂતોના શેરડીના તૈયાર પાક જેમના તેમ પડ્યા રહ્યા હોય તેમજ લોકડાઉનમાં રસના ચિચોડા પણ બંધ રહયા હોય જેથી સ્થાનિક વેચાણ પણ થઇ શકયું ના હતું.
માનસર ગામના ખેડૂતો જણાવે છે કે આ વર્ષે શેરડીના પાકોમાં ૧૫ થી વધુ ખેડૂતોને એક કરોડથી વધુનું નુકશાન થયું છે અને કરોડથી વધુ રૂપિયાના નુકશાનનો દાવો ખેડૂતો કરી રહ્યા છે. જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ બગડી હોવાનું પણ જણાવી રહ્યા છે જેથી નિરાશ થયેલ ખેડૂતોએ શેરડીના પાકને સળગાવી નાખ્યો હતો.