સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

દલિત હોવું અપરાધ હોય તો આરોપી ગણીને કેસ કરો :ધોરાજીનાયુવકની માંગણી : રાષ્ટ્રપતિ, PM મોદી,CM રૂપાણીને લખ્યો પત્ર

ધોરાજી:રાજ્યમાં  દલિતો પર અત્યાચારના અનેક બનાવો બહાર આવી રહ્યાં છે.જેના કારણે દલિતોમાં આક્રોશ વધ્યો છે.ત્યારે ધોરાજીમાં રહેતા એક યુવાને મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે દલિત હોવાને લીધે તેને આરોપી ગણી કેસ દાખલ કરવામાં આવે.  

  મળતી માહિતી મુજબ ધોરાજીમાં રહેતા 27 વર્ષના યુવાન સંકેત મકવાણાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખ્યો છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેને આરોપી ગણીને તેની સામે કેસ દાખલ કરવામાં આવે. કારણ કે પોતે દલિત છે અને દલિત હોવું અપરાધ હોય તો કેસ દાખલ કરો. છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં દલિતો પર અત્યાચારના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યભરના દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

    સંકેત નામના યુવકે હૈદરાબાદના ખુબ ચર્ચિત રોહિત વેમુલા આત્મહત્યા કેસ, ઉના દલિત કાંડ અને અન્ય દલિતો પરના અત્યાચારનો ઉલ્લેખ કર્યો છે. યુવકે પત્રમાં લખ્યું છે કે તેના ઉપર યોગ્ય ગુનો દાખલ કરવામાં આવે, કારણ કે તે દલિત છે. ભારતમાં રોજેરોજ દલિતો પર અત્યાચારો વધી રહ્યાં છે.

(1:00 am IST)