જુનાગઢમાં એડવોકેટ, વેપારી, વિદ્યાર્થી સહિત ૩૧ ઇસમો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી
જિલ્લામાં કુલ ૪૭ શખ્સો સામે અટકાયતી પગલા
(વિજુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૬ : જુનાગઢમાં પોલીસે એડવોકેટ, વેપારી, વિદ્યાર્થી સહિત ૩૧ ઇસમો સાથે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ છે.
જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભવ પારધી દ્વારા વિવિધ જાહેરનામા જારી કરવામાં આવેલ છે.
તેમજ ગુજરાતના ર૦ શહેરની સાથે જુનાગઢમાં પણ ૩૦ એપ્રિલ સુધી રાતરી કર્ફયુ લાદવામાં આવેલ છે જેના પાલન તેમજ જાહેરનામાના અમલ માટે ડી.આઇ.જી. મન્નીદર પ્રતાપસિંહ પવારની સુચનાથી એસ.પી.રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પેટ્રોલીંગ સહિતના પગલા લેવામાં આવી રહ્યા છે.
જુનાગઢમાં ડી.વાય.એસ.પી. પી.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.બી.સી. ડીવીઝન અને તાલુકા વિસ્તારમાં પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
જુનાગઢમાં એ.બી.એન.સી.ડીવીઝન પોલીસે કુલ ૩૧ શખ્સોને પકડી તેમની સામે કર્ફયુ તેમજ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.
આ ઇસમોમાં એક એડવોકેટ, વિદ્યાર્થી, વેપારીઓ અને શ્રમિકો સહિતના લોકોને સમાવેશ થાય છે.
જિલ્લાના ભેસાણ, મેંદરડા, બીલખા, માંગરોળ, કેશોદ, વંથલી, માંગરોળ અને માણાવદર પોલીસે પણ ૧૬ શખ્સે સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. આમ જુનાગઢ જિલ્લામાં કોરોના કાળમાં માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું વગેરેને લઇ પોલીસ એસ.આર કારક કામગીરી કરી રહ્યું છે.