સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

માળીયામિયાણાના પંથકમાં તોફાની વરસાદ : વૃક્ષો-પતરા-વિજતાર ઉડ્યા

ભરઉનાળે અષાઢી માહોલ સાથે માવઠામાં દોઢ ઇંચ વરસાદ : ઉનાળુ પાકને નુકશાન

(રજાક બુખારી દ્વારા) માળીયામિંયાણા,તા.૨૬ : માળીયામિંયાણાના વેજલપર ખાખરેચી વિસ્તારમાં વાયુ વરૂણદેવનુ રોદ્ર સ્વરૂપ ૭૦ કીલોમીટરની ઝડપે ફુંકાયેલા વાવાઝોડા સાથે ખાબકેલા તોફાની વરસાદે રણકાંઠાના ગામોને ધમરોળી નાખ્યા હતા માળીયા પંથકમાં સવારથી ધુળીયા ધાબડીયા વાતાવરણે મોડીસાંજે અસહ્ય બફારા વચ્ચે અચાનક જ કડાકા ભડાકા સાથે મૌસમે યુટર્ન લેતા ૭૦ કીલોમીટરની ઝડપે ફુંકાયેલા વાવાઝોડા સાથેના તોફાની વરસાદે થોડીવાર માટે ભયનો માહોલ સર્જી દીધો હતો જેમા આ વિસ્તારના વેજલપર ખાખરેચી કુંભારીયા વેણાસર ગામોમાં રીતસરનું મેઘરાજા સાથે વાયુદેવનુ તાંડવ હોય તેમ ગાજવીજ સાથે ૭૦ કીમીની ઝડપે પડેલા તોફાની દોઢ ઈંચ જેટલા વરસાદથી ખેતરો તરબોળ કરી દીધા હતા તેમજ ભારે પવનના કારણે પતરા વૃક્ષો અને વિજળીના તાર હવામાં ઉડ્યા હતા અને પતરા વિજતાર ઉડી ઉડી રોડ ઉપર ફેકી દીધા હતા જેના કારણે વિજપુરવઠો ચાર કલાક બંધ રહ્યો  હતો જોકે વિજકર્મીઓએ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી ચાર કલાક બાદ વિજપ્રવાહ પુર્વતિત કર્યો હતો ભારે પવન અને કરા સાથેના વરસાદથી ઉનાળુ પાકોને ભારે નુકશાન થયુ હતુ જેમા બાજરી તલ લસણ જુવારના પાકોનો સોંથ બોલાવી દેતા ખેડુતો પર ડબલ માર પડ્યો હતો અને ખેડુતો પર અણધારી આફત આવી હોય તેમ દોઢ ઈંચ વરસાદથી ખેતરો તરબોળ થઈ જતા ઉભાપાક અને લસણ જેવા પાકમાં ભારે નુકશાની થવા પામી છે અત્રે ઉલ્લેખનીય છેકે ભરઉનાળે આવેલા વરસાદે અષાઢી માહોલ સર્જી દીધો હોય તેમ તોફાની વરસાદે થોડીવારમાં પાણી પાણી કરી દીધુ હતુ જેના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી.

(11:31 am IST)