કચ્છમાં માતાના હાથે પુત્રની-ઝાલાવાડમાં પુત્રના હાથે માતાની હત્યા
નલીયામાં ૭ વર્ષના પુત્રની હત્યાનો ભેદ ખૂલ્યો : ચુડાના કંથારીયામાં માતાની હત્યા કરનાર પુત્ર ઝડપાયો
પ્રથમ તસ્વીરમાં કચ્છમાં હત્યા કરનાર મહિલા તથા સુરેન્દ્રનગરના કંથારીયામાં મહિલાનો મૃતદેહ નજરે પડે છે. રાજકોટ, તા. ર૬ : કચ્છમાં તથા સુરેન્દ્રનગર જીલ્લામાં હત્યાની બે ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. નલીયામાં ૭ વર્ષના પુત્રની માતાએ હત્યા કરી હતી. જયારે સુરેન્દ્રનગરના કંથારીયામાં પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારતા ખળભળાટ વ્યાપી ગયો છે.
ભુજ
ભુજ : અબડાસાના નલિયા મધ્યે ૭ વર્ષના માસૂમ બાળકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ખૂબ જ આદ્યાતજનક આ બનાવમાં સગી માતાએ પોતાના માસૂમ પુત્ર નું ગળું દ્યોંટી નાખ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નલિયા પીએસઆઇ એસ.એ. ગઢવીના જણાવ્યા પ્રમાણે બે વર્ષ પહેલાં પોતાના પતિને મૂકીને બિહારથી પોતાના પ્રેમી ધનંજય સુરેન્દ્ર યાદવ સાથે નાસીને કચ્છના નલિયા આવેલી યુવાન પ્રેમિકા ગુંજાશી યાદવે પોતાના ૭ વર્ષના સગા માસૂમ પુત્ર અમનનું નિંદ્રાધીન હાલતમાં ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. અત્યારે ગુંજાશીને તેના પ્રેમી ધનંજય થકી ૬ માસનો પુત્ર છે. પણ, પોતાનો ભૂતકાળ જાણતા ૭ વર્ષનો પુત્ર અમન તેને ખટકતો હોઈ સગી જનેતાએ જ પોતાના પુત્રને મોત ને દ્યાટ ઉતાર્યો હતો. આ કિસ્સામાં પહેલા આકસ્મિક મૃત્યુ દર્શાવાયું હતું પણ પોલીસે જામનગર મૃતદેહ મોકલી પીએમ કરાવ્યા બાદ ગળું દ્યોંટીને મોત નીપજયું હોવાના રિપોર્ટ ને પગલે વધુ છાનબીન કરી આ બનાવનો ભેદ ઉકેલી હત્યારી માતા ગુંજાશી યાદવની ધરપકડ કરી લીધી છે.
વઢવાણ
વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કંથારીયા ગામે પુત્રએ વૃદ્ધ માતાની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાત્રીના સમયે પુત્રએ તિક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ માતાની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. આ ઘટનાની જાણ કંથારીયા ગામના લોકોને થતાં તુરંત ચુડા પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને પી.એમ. અર્થે ચુડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને હત્યા કરનાર પુત્રને ચુડા પોલીસે ઝડપી પાડયો છે. આ ઘટનાની જાણ સમગ્ર પંથકમાં વાયુવેગે ફેલાતા ચકચાર ફેલાઇ છે.