જૂનાગઢના કેરાળા ગામે આધેડ પતિની પત્નિ અને પુત્રના હાથે હત્યા
મૃતકના માતાની ફરિયાદના પગલે પોલીસ તપાસ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૬: જૂનાગઢના કેરાળા ગામે આધેડ પતિની પત્નિ અને પુત્રએ હત્યા કરી નાખી હોવાનું જાણવા મળેલ છે.
જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે રહેતા દિપકભાઇ ચંદુભાઇ કુટેચા નામના કોળી આધેડને ગઇ કાલે મોડી સાંજે તેના પત્નિ વિદ્યાબેન અને પુત્ર જયેશ સાથે ઘર કંકાશને લઇને ઉગ્ર બોલાચાલી થઇ હતી.
આ ઝઘડામાં પત્નિ વિદ્યાબેન અને પુત્ર જયેશે દિપકભાઇ ઉપર તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આ અંગેની જાણ થતા જૂનાગઢ તાલુકા પોલીસનો કાફલો દોડી ગયો હતો.
આધેડની હત્યા અંગે મૃતકની માતા હેમીબેન ચનાભાઇ કોળીની ફરિયાદ લઇ વિદ્યાબેન અને જયેશ સામે ધોરણસરની કાર્યવાહી કરી બન્નેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.
નાના એવા કેરાળા ગામમાં આધેડના ખુનના બનાવથી સનસનાટી ફેલાઇ ગઇ હતી.